મહીસાગરઃ અગ્ર સચિવ જયંતિ રવિએ કન્ટેન્ટમેન્ટ ઝોનની મુલાકાત દરમિયાન ખાસ કરીને સિનિયર સિટીઝન અને વૃદ્ધો સાથે સંવાદ કરી તેઓને ચકાસણી માટે આરોગ્ય ટીમ આવે છે કે કેમ, હોમિયોપેથીક દવાઓ તથા આયુર્વેદિક ઉકાળા મળે છે કે કેમ, કોઈ તકલીફ પડે છે કે કેમ, તેના વિશે જાણકારી મેળવી હતી.
જેના પ્રત્યુત્તરમાં નાગરિકો તરફથી હકારાત્મક પ્રતિભાવ મળતાં સચિવે નાગરિકોને સરકાર તરફથી આપવામાં આવતી સૂચનાઓ તથા જરૂર વગર ઘરની બહાર નીકળવા અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા અપીલ કરી હતી. અગ્ર સચિવ જયંતિ રવિએ કન્ટેન્ટમેન્ટ ઝોનની મુલાકાત લીધા બાદ તેઓ સીધા બાલાસિનોર ખાતેની કોવિડ-19 હોસ્પિટલની મુલાકાતે પહોંચી ગયા હતા. જ્યાં સચિવે તબીબો સાથે દવાઓના જથ્થાની તેમજ આપવામાં આવી રહેલી સારવાર અંગે જાત માહિતી મેળવી જરૂરી માર્ગદર્શન પુરુ પાડ્યું હતું.
અગ્ર સચિવની મુલાકાત દરમિયાન તેઓની સાથે તબીબી સેવાના અધિક નિયામક ડોક્ટર એસ.કે.ભાવસાર, PMS વિભાગના ડોક્ટર કાદરી, એપેડેમીક વિભાગના ડોક્ટર દિનકર રાવલ, જિલ્લા કલેક્ટર આર.બી.બારડ, જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો એસ.બી.શાહ અને પ્રાંત અધિકારી, બાલાસિનોર મામલતદાર સાથે રહ્યાં હતાં.