માસ્ક વગર ફરતી વ્યકિતઓ પાસેથી દંડાત્મતક કાર્યવાહી અને રૂપિયા 5100 નો દંડ વસુલ
વિરપુર મામલતદાર, TDO, અને PSI એ સંયુકત કાર્યવાહી હાથ ધરી
કોરોના સંક્રમણને નિયંત્રિત કરવા હેતુથી તેમજ નાગરિકોમાં જાગૃતિ આવે તે માટે અભિયાન
કેટલાક લોકો પોતાની સાથે અન્ય નાગરિકોને પણ જોખમમાં મૂકે છે
લુણાવાડા: કોરોનાની મહામારીમાં જિલ્લાના નાગરિકોને કોરોના વાઈરસના સંક્રમણથી સુરક્ષિત રાખવા અને રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય અને તેમની તંદુરસ્તી જળવાઇ રહે તે માટે તંત્ર કટિબદ્ધ છે. જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ જિલ્લા આયુર્વેદિક અધિકારીની રાહબરી હેઠળ આયુષ મંત્રાલયના દિશા નિર્દેશ પ્રમાણે જિલ્લા-તાલુકા અને ગ્રામ્ય સ્તર સુધીના આરોગ્યના કર્મીઓ સતત અવિરતપણે પોતાની ફરજો અદા કરી રહ્યા છે.
માસ્ક વગર નાગરિકો બહાર નિકળે છે
આમ છતાં પણ હજુ નાગરિકો તેને ગંભીરતાથી નથી લઇ રહ્યા અને સરકારની ગાઇડલાઇન તેમજ જિલ્લા વહીવટી તંત્ર તરફથી માસ્ક પહેર્યા વગર બહાર ન નીકળવા વારંવાર જણાવવામાં અને સમજાવવામાં આવતું હોવા છતાં પણ હજુ ઘણા નાગરિકો માસક્ વગર ઘરની બહાર નીકળે છે. જેના કારણે તેઓ પોતે પોતાને તો જોખમમાં મૂકે છે પણ સાથે સાથે અન્ય નાગરિકો માટે સંકટ પેદા કરતા હોય છે.
માસ્ક પહેર્યા વગર નીકળતી વ્યકિતઓ ફરીથી માસ્ક પહેર્યા વગર બહાર ન નીકળે અને કોરોના સંક્રમણને નિયંત્રિત કરી શકાય તે હેતુથી તેમજ નાગરિકોમાં ગંભીરતા આવે અને તેઓમાં જાગૃતિ આવે તે માટે વિરપુર મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, પોલીસ સબ ઇનસ્પેકટરે સંયુકત કાર્યવાહી હાથ ધરીને વિરપુર નગરમાં તાજેતરમાં માસ્ક વગર ફરતી વ્યકિતઓ પાસેથી દંડાત્મતક કાર્યવાહી કરી રૂપિયા 5100 નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.વહીવટીતંત્રએ આ સંયુકત કાર્યવાહી કરીને અન્ય નાગરિકો માસ્ક પહેર્યા વગર ન નીકળે અને નીકળશે તો દંડાત્મક કાર્યવાહીથી બચી નહીં શકો તેવો સંદેશો પણ પાઠવ્યો હતો.