ખેડા: હાલ દિન-પ્રતિદિન કોરોના વાઇરસનું સંક્રમણ વધી રહ્યું છે. જેને પગલે તંત્ર દ્વારા નવરાત્રિ, દિવાળી સહિતના તહેવારોની ઉજવણી કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ત્યારે ખેલૈયાઓ જેની કાગડોળે રાહ જોઇ રહ્યા હતા તે નવરાત્રિના રંગમાં કોરોનાના કારણે ભંગ પડ્યો છે.
કોરોના મહામારી સામે સાવચેતી રાખવા માટે અનેક રીતે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ત્યારે ડાકોરના ગાયકવૃંદ દ્વારા કોરોના મહામારી સામે લોકોને જાગૃત કરવાના પ્રયાસના ભાગરૂપે નવરાત્રીને ધ્યાનમાં રાખી કોરોના ગરબો ગુંજતો કરવામાં આવ્યો છે. જેમાં કોરોના ગાઇડલાઇન્સ જેવી કે સેનેટાઇઝરનો ઉપયોગ, માસ્ક પહેરવા યોગ કરવા તેમજ રોગપ્રતિકારક શક્તિ વધારવા ઉકાળો પીવા જેવી બાબતોથી ગરબાના માધ્યમ વડે લોકોને સાવધાન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
નવરાત્રિમાં ગરબા ગાવા પર પ્રતિબંધ છે. પરંતુ વગાડવા, સાંભળવા પર પ્રતિબંધ ન હોવાથી મહામારી સામે જાગૃતિ માટે આ ગરબો સોશિયલ મીડિયાના માધ્યમથી ઘરે ઘરે પહોંચાડવાનો પ્રયાસ કલાકારો દ્વારા કરવામાં આવ્યો છે.