જૂનાગઢ : આજે ભક્ત કવિ નરસિંહ મહેતાની 615 મી જન્મ જયંતી મનાવવામાં આવી રહી છે. નરસિંહ મહેતાના જીવન કાળ દરમિયાન ત્રણ જયંતિની ઉજવણી કરવામાં આવે છે. જે પૈકી માગશર સુદ સાતમના દિવસે હારમાળા જયંતિ, ચૈત્ર સુદ સાતમના દિવસે તપ પ્રયાણ જયંતી અને વૈશાખ સુદ પૂનમના દિવસે જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી છે. દેવિય તત્વની આ પ્રકારે 3 જયંતિની ઉજવણી થતી હોય તેવું ભાગ્યે જ જોવા મળે છે. પરંતુ કૃષ્ણ ભક્તિના પર્યાય નરસિંહ મહેતાની ત્રણ જયંતિની ઉજવણી આજે પણ થતી જોવા મળે છે.

હારમાળા જયંતિનુું શું છે મહત્વ : તળાજા થી કડવા વચનો સાંભળીને જુનાગઢ સુધી આવેલા નરસિંહ મહેતા અહીં કૃષ્ણ ભક્તિમાં લીન થયા અને જ્યાં આજે પણ તેમની હાજરીના પુરાવા રૂપે નરસિંહ મહેતાનો ચોરો આવેલો છે. અહીં ખૂબ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો નરસિંહ મહેતાના દર્શન કરવા માટે સમગ્ર વર્ષ દરમિયાન આવતા હોય છે. નરસિંહ મહેતાની કૃષ્ણ ભક્તિ જોઈને નાગરી નાતે તેના પર અનેક શંકા-કુશંકાઓ વ્યક્ત કરી હતી અને પોતે શ્રી હરિનો ભક્ત હોવાનો ડોળ કરી રહ્યો છે તેઓ નરસિંહ મહેતા પર આળ મૂકવામાં આવ્યો હતો. ત્યારે કૃષ્ણ ભક્તિમાં લીન થયેલા નરસી મહેતાની ભક્તિના પુરાવા રૂપે શ્રી હરિએ સ્વયં દર્શન આપીને નરસિંહ મહેતા પર પુષ્પનો હાર ન્યોછાવર કર્યો હતો. ત્યારથી નરસિંહ મહેતાની હારમાળા જયંતિની ઉજવણી થાય છે.
ભાભીના કડવા વચનો સાંભળીને મહેતાજીએ કર્યો હતો ઘરનો ત્યાગ : નરસિંહ મહેતાએ ભાભીના કડવા વચનો સાંભળીને ઈ.સ 1439 વિક્રમ સંવત 1495ના ચૈત્ર માસની શુક્લ પક્ષની સાતમ અને સોમવારના દિવસે તપ કરવા માટે ઘરનો ત્યાગ કર્યો હતો. ત્યારથી નરસિંહ મહેતાની તપ પ્રયાણ જયંતીની માનવામાં આવે છે. ઘરનો ત્યાગ કર્યા બાદ નરસિંહ મહેતા પરિભ્રમણ કરતા તપોભુમી ગિરનાર પર આવી પહોંચે છે અને અહીં કૃષ્ણ ભક્તિમાં એટલા તલ્લીન બની જાય છે કે શ્રી હરિએ જૂનાગઢની ભૂમિ પર નરસિંહ મહેતાને દર્શન આપવા માટે પ્રગટ થવું પડ્યું હતું.