જામનગર : કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા લોકડાઉનની પરિસ્થિતિમાં રાજ્ય સરકાર દ્વારા રાજયના વિવિધ વિસ્તારોમાં કામ કરતા પરપ્રાંતીય શ્રમિકોને બસ અને હાલ ટ્રેન દ્વારા પોતાના વતન પહોંચવા માટેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
જિલ્લામાં પણ દરેક, શહેર સહિતના અન્ય વિસ્તારમાં કામ કરતા પરપ્રાંતિય શ્રમિકોને જિલ્લા વહિવટી તંત્ર અને પશ્ચિમ રેલવે મેનેજમેન્ટ દ્વારા આજરોજ સોમવારે જામનગર રેલવે જંકશન ખાતેથી અંદાજે 1200 પરપ્રાંતિય શ્રમિકો અને તેમના પરિવારને ઉત્તરપ્રદેશના ગાઝીપુર ખાતે વતનમાં પરત ફરવા માટે ટ્રેનની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી. શ્રમિકોને વતન જવા માટે તંત્ર દ્વારા શહેરથી ઉત્તરપ્રદેશ માટે આ છઠ્ઠી ટ્રેન મોકલવામાં આવી છે. હાલ સુધીમાં જામનગરથી કુલ પાંચ ટ્રેનો શ્રમિકોને લઇને રવાના થઇ ચૂકી છે. જેમાં ૪ ટ્રેનો ઉત્તરપ્રદેશ માટે અને ૧ ટ્રેન બિહાર માટેની હતી.
જો તકેદારીની વાત કરીએ તો ટ્રેનમાં મુસાફરી કરનારા તમામ શ્રમિકો અને તેના પરિવારજનોનું મેડીકલ ચેકઅપ કરીને લોકો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સીંગ જળવાઈ રહે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી. દરેક કોચમાં સોશિયલ ડિસ્ટન્સીંગને ધ્યાને રાખીને શ્રમીકોની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ તકે મુસાફરી કરનાર તમામ શ્રમિકોને ફૂડ પેકેટ, પાણીની બોટલ, ફળ અને હેન્ડવોશ માટે પેપર સોપ તેમજ બાળકો માટે ચોકલેટ, ક્રિમ બિસ્કીટ, ફૂડપેકેટ આપવામાં આવ્યા હતા.
આ ટ્રેનમાં કુલ ૨૨ કોચ તેમજ ૧ આગળ તથા ૧ પાછળ એસ.એલ.આર.કોચ જોડવામાં આવ્યા હતા. આ વચ્ચે સુરક્ષાને ધ્યાનમાં રાખીને રેલવે તંત્ર દ્વારા સમગ્ર કોચને સેનીટાઈઝડ કરવામાં આવ્યો હતો. તેમજ રેલવેની મુસાફરી દરમિયાન શ્રમિકોને બપોર તથા રાત્રીના ભોજનની વ્યવસ્થા પણ રેલવે તંત્ર દ્વારા કરવામાં આવી છે.