જામનગર: જામનગર જિલ્લાના જામવંથલી ગામના 75 વર્ષે સરપંચ ભુરાભાઈ પરમારએ છેલ્લા ચાર દિવસથી અન્ન જળનો ત્યાગ કર્યો છે. વંથલી ગામના સરપંચ ભુરા ભાઈની તબિયત લથડતા તેમને સારવાર અર્થે જામનગરની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. રેલવે વિભાગ દ્વારા વંથલી ગામેથી પસાર થતી તમામ ટ્રેનોના સ્ટોપ બંધ કરવામાં આવ્યા છે જેના કારણે આજુબાજુના 24 જેટલા ગામના મુસાફરોને રેલવેનો ફાયદો મળી રહ્યો નથી. વંથલી ગામના 75 વર્ષે સરપંચ ભુરાભાઈ પરમારે લોકોના હિત માટે છેલ્લા ચાર દિવસથી અન્ન-જળનો ત્યાગ કર્યો છે અને મૌન વ્રત ધારણ કર્યું છે.
સરપંચ મેદાને: વંથલી ગામના સરપંચ ભુરાભાઈ પરમાર માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક વંથલી ગામથી પસાર થતી તમામ ટ્રેનોને સ્ટોપ આપવામાં નહિ આવે તો તેઓ પોતાનું આંદોલન ચાલુ રાખશે. સમગ્ર બાબતે માજી પ્રમુખ કનક સિંહે જણાવ્યું કે રાજકોટથી પોરબંદર જતી તમામ ટ્રેનોના સ્ટોપ પહેલા વંથલી ખાતે રાખવામાં આવતા હતા. છેલ્લા ઘણા સમયથી આ સ્ટોપ બંધ કરી દેવામાં આવતા અહીંના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ જામ વંથલી ગામના સરપંચ ભુરાભાઈ પરમાર જામનગરની જીજી હોસ્પિટલમાં દાખલ છે તેમની તબિયત નાજુક હોવાના કારણે તેમને ડોક્ટર દ્વારા સારવાર આપવામાં આવી રહી છે.
આ પણ વાંચો Water Crisis in Danta : ઘરઆંગણે પાણીના નળ, પણ પાણી માટે ઠેરઠેર રઝળપાટ કરતાં 200 લોકો
સરપંચે અન્ન-જળનો કર્યો ત્યાગ: વંથલી ટ્રેનનો સ્ટોપ આપવામાં આવે તેવી રજૂઆત જામનગર અને દેવભૂમિ દ્વારકાના સાંસદ પૂનમ એ પણ રેલ્વે મંત્રીને કરી હતી. રેલવેના જનરલ મેનેજરને પણ રજૂઆત કરવી હતી છતાં પણ જામ વંથલી ખાતે રેલવે સ્ટોપ આપવામાં ન આવતા જામવંથલી ગામના 75 વર્ષીય સરપંચ ભુરાભાઈ પરમાર છેલ્લા ચાર દિવસથી અન્ન-જળનો ત્યાગ કર્યો છે.
જામ વંથલી ગામના સરપંચ જણાવી રહ્યા છે કે તાત્કાલિક રેલવે સ્ટોપ જામ વંથલી ખાતે આપવામાં આવે કારણ કે તેના કારણે આજુ બાજુના ગામોને રેલવેનો ફાયદો થાય છે. શા માટે રેલવે દ્વારા આવો નિર્ણય કર્યો તે વિશે તપાસ કરતા અધિકારીઓ જણાવી રહ્યા છે કે જામ વંથલી રેલવે સ્ટોપ પર મુસાફરોની સંખ્યમાં ઓછી હોય છે જેના કારણે ઉપરથી નિર્ણય લેવામાં આવ્યો છે.