આશ્રમ શાળામાં ફરજ બજાવતા રાકેશભાઈ સોલંકીએ કહ્યું કે, સરકાર આંદોલન કરવાવાળા કર્મચારીઓને તમામ સુવિધાઓ આપી દેવામાં આવે છે પરંતુ, અંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થીઓને પાછળ પોતાની જિંદગી ખર્ચી નાખતા ગૃહપતિ કમ શિક્ષકને સાતમા પગાર પંચનો લાભ આપવામાં આવતો નથી, સરકાર અમારી મજાક ઉડાવી રહી છે.
ગુજરાત રાજ્યના આશ્રમશાળા કર્મચારી મંડળ દ્વારા આજે સેકટર-12માં આવેલા વિશ્વકર્મા હોલમાં બેઠક બોલાવવામાં આવી હતી. આશ્રમશાળામાં ફરજ બજાવતા કર્મચારીઓએ સરકાર સામે પોતાની માગણીઓ મેળવવા માટે રણનીતિના ભાગરૂપે બેઠક કરી હતી. અત્યારે જામનગર જિલ્લામાં આવેલી આશ્રમ શાળામાં ફરજ બજાવતા રાકેશભાઈ સોલંકીએ કહ્યું કે, આશ્રમશાળામાં શિક્ષકોને બેવડી જવાબદારીઓ નિભાવવાની સાથે 24 કલાકમાં બાપ તરીકેની જવાબદારી પણ સોંપવામાં આવી છે. ગૃહપતિ તરીકે જવાબદારી હોવાથી શૈક્ષણિક કાર્યની તૈયારીઓ કે ઘર-પરિવાર માટે પણ સમય ફાળવી શકાતો નથી. પરિણામે કર્મચારી સતત મનોવૈજ્ઞાનિક દબાણ હેઠળ રહેતો હોવાથી પોતાના કામને ન્યાય આપી શકતો નથી.