ગાંધીનગર: અંબાજી સગર્ભા બાળક મૃત મામલે તપાસના આદેશ આપતા મહિલા આયોગના અધ્યક્ષ લીલાબેન અંકોલીયાએ જણાવ્યું કે, અંબાજીમાં જે ઘટના બની છે તે અત્યંત દુઃખદ ઘટના બની છે. આ બાબતે અંબાજી એસપીને લેખિતમાં આદેશ આપવામાં આવ્યા છે અને સમગ્ર ઘટનામાં મહિલા આયોગને પણ લેખિતમાં જાણ કરે તેવા આદેશ રાજ્યના મહિલા આયોગ દ્વારા આપવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે અંબાજી પોલીસ સ્ટેશનના બે પોલીસ કોન્સ્ટેબલે સગર્ભા મહિલાને સારવાર અર્થે લઈ જઇ રહેલી ગાડીને રોકી હતી અને માસ્ક કેમ નથી પહેરેલુ તે બાબતે પૂછપરછ કરી કાર્યવાહી કરવા માટે ગાડીને રોકી હતી. જો કે, સમય વેડફતા સગર્ભા મહિલાને સમયસર સારવાર ન મળી અને સારવાર મળે તે પહેલા જ નવજાત બાળકીનું મોત થઈ ગયું હતુું. જેથી પરિવારજનોએ પોલીસ મથકે ભારે હોબાળો મચાવ્યો હતો. બાળકીના મૃતદેહને પોલીસ મથકના ટેબલ પર મૂકી ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ ન હટાવવા પરિવાર જીદે ચડતા ભારે દોડધામ મચી ગઈ હતી.