અમદાવાદ: ઉત્તરાખંડ સરકારની પગદંડીએ ચાલી ગુજરાત સરકાર પણ UCC લાવવાની તૈયારીમાં છે. આ માટે ગુજરાત સરકારે રંજના દેસાઈની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી છે. જે 45 દિવસમાં સંશોધન અને અધ્યયન કરી પોતાની ભલામણ રજુ કરશે. તેના આધારે સરકાર આગળનો નિર્ણય લેશે. આ અંગે મુસ્લિમ સમાજના જુદા જુદા અગ્રણી અને પાર્ટીના લોકોએ પોતાના પક્ષ રાખ્યા હતા. તેઓએ જણાવ્યું કે, માત્ર મુસ્લિમોને ટાર્ગેટ કરવા માટે UCC લાવવામાં આવી રહ્યું છે. મુસ્લિમો આ UCCને કોઈપણ રીતે સ્વીકારશે નહીં. વાંચો આ અહેવાલમાં
જમાતે ઈસ્લામી હિન્દના પ્રમુખે શું કહ્યું?: UCC મામલે જમાતે ઈસ્લામી હિંદ ગુજરાતના પ્રમુખ ડો. મુહમ્મદ સલીમ પટીવાલાએ જણાવ્યુ કે, આ તદ્દન અવિચારી પગલું છે અને આમાં સરકારનો આશય સારો નથી, તેની દાનતમાં ખોટ છે અને આની આડમાં માત્ર મુસ્લિમોને ટાર્ગેટ કરવાનો પ્રયત્ન છે. હિન્દુ-મુસ્લિમ કાર્ડ રમી ધ્રુવીકરણ કરી વોટબેંકને પંપાળવાની ચાલાકી છે. ઉત્તરાખંડની જેમ અહી પણ આદિવાસી સમાજને આનાથી અલગ રાખવાનો જે સંકેત આપવામાં આવ્યો છે. તે સ્પષ્ટ રીતે દર્શાવે છે કે, ટાર્ગેટ માત્ર મુસ્લિમો છે.
નાગરિકોના મૂળભૂત અધિકારો પર હુમલો: જમાતે ઈસ્લામી હિંદ ગુજરાતના પ્રમુખે વધુમાં કહ્યું કે, ઉત્તરાખંડમાં પણ UCC કાયદો અલોકતાંત્રિક, ગેરબંધારણીય અને નાગરિકોના મૂળભૂત અધિકારો પર હુમલો છે. તેથી, તે અમને સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. દેશનું બંધારણ મુસ્લિમો સહિત તમામ નાગરિકોને તેમની ધાર્મિક માન્યતાઓનું અને ધાર્મિક ઉપદેશોનું પાલન અને સ્વતંત્રતાની ખાતરી આપે છે. મુસ્લિમ પર્સનલ લો એ ઇસ્લામનું અભિન્ન અંગ છે. જે શરિયત એપ્લિકેશન એક્ટ, 1937 હેઠળ સુરક્ષિત છે. વધુમાં, કોઈપણ રાજ્યને સમાન નાગરિક સંહિતા લાગુ કરવાનો અધિકાર નથી. AIMPLB એ તેની બેંગલુરુ બેઠકમાં નિર્ણય લીધો હતો કે, આ કાયદાને કોર્ટમાં પડકારવામાં આવશે.
કોઈપણ સંજોગોમાં UCCને નહી સ્વીકારાય: જુલાઈ 2024માં, એક સંયુક્ત પત્રકાર પરિષદમાં, મુસ્લિમો, શીખો, ખ્રિસ્તીઓ, બૌદ્ધ, દલિત અને આદિવાસી સમુદાયોના નેતાઓએ સ્પષ્ટ કર્યું હતું કે, તેઓ કોઈપણ સંજોગોમાં UCCને ક્યારેય સ્વીકારશે નહીં. અમે મુસ્લિમો અને અન્ય નાગરિકોને અપીલ કરીએ છીએ કે, તેઓ ગભરાઈ ન જાય અને તેમના ધાર્મિક કાયદાઓ સાથે સમાધાન ન કરે. અમે લોકતાંત્રિક માળખામાં દરેક સ્તરે આનો વિરોધ કરીશું.આ સાથે ઉત્તરાખંડમાં લિવ ઇન રિલેશનશિપની મંજૂરી આપવામાં આવેલ છે તે પણ માત્ર રજીસ્ટ્રેશનના આધારે. આ કાયદો સમગ્ર ધાર્મિક અને નૈતિક સમાજ માટે ખતરાની ઘંટડી સમાન છે અને દરેક ન્યાયી સમાજે આના વિરોધ માટે આગળ આવવું પડશે.
પગલાનો વિરોધ કરાશે: આગળ જમાતે ઈસ્લામી હિન્દ ગુજરાતના પ્રમુખે જણાવ્યું કે, જમાતે ઈસ્લામી હિન્દ, રાજ્ય સરકારના આવા કોઈ પણ અવિચારી અને અન્યાયી પગલાનો વિરોધ કરે છે. સમગ્ર ન્યાયપ્રિય નાગરિકો સાથે મળી આવા પગલાંનો દરેક સ્તરે વિરોધ કરવામાં આવશે. AIMIM અમદાવાદ શહેરના પ્રવક્તા અસ્લમ શેખે જણાવ્યું કે, UCC કાયદો સંવિધાન વિરોધી છે. કયાંકને ક્યાંક લોકતંત્રની હત્યા થઈ છે અને જે પણ લોકો સંવિધાનને માને છે. એને આ કાનૂનનો વિરોધ કરવો જોઈએ. AIMIM પાર્ટી આ કાનૂનનો સખત વિરોધ કરે છે. પર્સનલ લોને ખતમ કરવાનું કાવતરુ છે. એટલે આ કાયદો લાવવામાં આવી રહ્યો છે.
હિન્દુ મેરેજ એક્ટ પર પ્રભાવ પડશે: AIMIM પાર્ટીના સભ્ય અહદ ખાન પઠાણે જણાવ્યું હતું કે, UCC ઉત્તરાખંડમાં લાગુ કરવામાં આવ્યું છે. જેને ગુજરાતમાં લાગુ કરવાના પ્રયત્નો ચાલું છે. તેના માટે એક કમિટી પણ બનાવવામાં આવી છે. તેનાથી માત્ર મુસ્લિમો જ નહી પરંતું હિન્દુ મેરેજ એક્ટ પર પ્રભાવ પડશે. કમિટીમાં માત્ર 5 લોકો છે. એક પણ મુસ્લિમ નથી. ત્યારે તમે આ કેવી રીતે કમિટી બનાવી એ સવાલ ઉભો થાય છે. અમે આ UCCનો વિરોધ કરીશું,
UCC લાગુ કરવી વ્યાજબી નથી: SDPI પાર્ટીના લીડર ઈર્શાદ શેખે જણાવ્યું હતું કે, મહાકુંભ મેળામાં ભગદડ મચી તેમાં ઘણા લોકોના મોત થયા હતા. તેના આંકડા છુપાવવા માટે, ગુજરાતમાં ડિમોલિશનની કામગીરી તેને દબાવવા માટે આ કાયદો લાવવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં અશાંત ધારો લાગુ છે. તો પ્રશ્ન એ છે કે, UCC લાવશો, તો શું આ અશાંત ધારાના કાયદાને ખતમ કરવામાં આવશે? અમારી પાર્ટી UCCના વિરોધમાં સડક પર ઉતરશે અને અમે લોકો આ કાયદાનો વિરોધ કરીશું. તો આ અંગે સોશિયલ એક્ટિવેસ્ટ દાનિશ કુરેશી એ જણાવ્યું હતું કે, UCC માટે જે કમિટીની રચના કરવામાં આવી છે. આવી કમિટીની રચના કરવાની જરૂર ત્યારે પડે છે. જ્યારે કોઈ ગેર મત ઉભો થાય છે. જ્યારે ST વસ્તી 15 %ની છે. 11 % મુસ્લિમ સમાજના લોકો છે, લગભગ 25 % લોકો આમાં સામેલ નથી. તેઓ આ કમિટીમાં પોતાના મતો મુકશે કે, આવી પરિસ્થિતિમાં તમારે UCC લાગુ કરવી વ્યાજબી નથી.
આ પણ વાંચો: