દમણ: કચિગામ-વાપી અને દમણ-પાતલીયા-ઉદવાડા બોર્ડર પર સોમવારે સવારે ગુજરાતના લોકો અટવાયા હતા. મોટી સંખ્યામાં દમણમાં રોજગારી અર્થે નીકળેલા અને અન્ય કામસર નીકળેલા લોકોને પણ પોલીસે અટકાવ્યા હતા. જેને લઈને લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ જાહેરનામું પ્રસિદ્ધ થયા બાદ કેમ અટકવાવવામાં આવ્યા તેવા સવાલો સાથે બોલાચાલી કરી હતી. જો કે, દમણમાં પ્રવેશ માટે કોઈ સૂચના પ્રશાસન તરફથી મળી ન હોવાનું અને જે જાહેરનામાંનો લેટર સોશિયલ મીડિયામાં ફરે છે, તે ફેક હોવાનું જણાવતા લોકોનો ગુસ્સો શાંત થયો હતો. તેમજ નિરાશ થઈ પરત ફર્યા હતાં. જ્યારે કેટલાક લોકોએ ગુજરાતના લોકોને દમણમાં પ્રવેશ નહિ તો દમણના લોકોને પણ ગુજરાતમાં પ્રવેશ નહિ આપવા મુદ્દે હોબાળો મચાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા કોરોના મહામારી સામે લાગુ કરેલા લોકડાઉન હવે અનલોક-1ના નામે કેટલાક નિયમો હળવા કરી લાગુ કરવામાં આવ્યું છે. જેમાં અન્ય રાજ્યમાં કે જિલ્લામાં જવા કોઈ પરમિશનની જરૂર નથી. તેવી જાહેરાત સરકાર તરફથી કરવામાં આવી છે. જો કે, આ અંગે દમણ કે દાદરા નગર હવેલી પ્રશાસને હજુ સુધી આવું કોઈ જાહેરનામું બહાર પાડ્યું નથી. અનલોક-1 હેઠળ કઈ શરતો હળવી કરી છે, તે અંગે પણ કોઈ જાણકારી આપી નથી.

રવિવાર રાત્રે દાદરા નગર હવેલી અને દમણ અને દીવ પ્રશાસનના નામે એક ફેક લેટર કોઈ ટીખલખોરે સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. જેને વાંચીને ગુજરાતમાં રહેતા અને સંઘપ્રદેશ દમણમાં વેપાર ધંધો રોજગારી કરતા લોકો વહેલી સવારથી જ દમણની કચિગામ ચેકપોસ્ટ પર અને પાતલીયા ચેકપોસ્ટ પર પહોંચી ગયા હતા. જ્યાં તેમને અટકાવી દમણમાં પ્રવેશ આપ્યો ન હતો. જે કારણે નિરાશ બનેલા લોકોએ વીલા મોઢે પરત ફરવાનો વારો આવ્યો હતો.