વાપી: મહારાષ્ટ્રના મહાડથી સુરત આવી રહેલ ગુજરાત ST બસનો અકસ્માત સર્જાયો હતો. રાત્રે ક્રેન સાથે થયેલા આ અકસ્માતની જાણકારી વાપી ડેપોને કરતા વલસાડ ST વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતાં. અકસ્માતમાં બસમાં સવાર બસ ડ્રાઇવર અને પાંચ મુસાફરોને નાનીમોટી ઈજાઓ થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. જો કે આ અકસ્માતમાં ક્રેઇનના ક્લીનરનું મોત નીપજ્યું છે.

કેવી રીતે સર્જાયો અકસ્માત: મહારાષ્ટ્રના તલાસરી નજીક મુંબઈ-અમદાવાદ નેશનલ હાઇવે નંબર 48 પર ગત મધ્યરાત્રિએ ગુજરાત એસ ટી બસ ક્રેન સાથે અથડાઈ હતી. અકસ્માતમાં ક્રેઈનના ક્લીનરનું ઘટનાસ્થળે મોત થયું હતું. ગુજરાત ST બસ મહારાષ્ટ્રના મહાડથી સુરત તરફ આવી રહી હતી ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. રાત્રિના સમયે રસ્તાની બાજુમાં ઊભેલી ક્રેન સાથે બસ અથડાઈ હતી. સમગ્ર ઘટના અંગે વલસાડ ST વિભાગને જાણ કરતા વાપી ડેપોના અધિકારીઓનો સ્ટાફ ઘટના સ્થળે પહોચ્યો હતો.

મૃતકના પરિવારને મદદની ખાતરી: અધિકારીઓએ અકસ્માત અંગેના પ્રાથમિક કારણો જાણવા તપાસ હાથ ધરી છે તેમજ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલ ડ્રાઇવર, મુસાફરોની મુલાકાત લઈ તેમની ઇજાઓ અંગે તબીબો સાથે ચર્ચા કરી હતી. જો કે, મુસાફરોને સામાન્ય ઇજાઓ હોય અને ડ્રાઇવરને પણ પગના ભાગે ઇજા થઇ હોય મોટી દુર્ઘટના ટળતા સૌએ હાશકારો અનુભવ્યો છે. મૃતક ક્રેનના ક્લીનર અંગે દુઃખ વ્યક્ત કરી તેમના પરિવારને બનતી મદદ કરવાની ખાતરી પણ ST વિભાગના અધિકારીઓ આપી હતી. જો કે આ અંગે ST અધિકારીઓનો સંપર્ક કરવાની કોશિશ કરતા કોઈ અધિકારીઓનો સંપર્ક થઈ શક્યો ના હોય વધુ વિગતો મળી નથી.