દાહોદઃ જિલ્લામાં કોરોના વાઈરસનો પોઝિટિવ કેસ અને આવશ્યક ચીજવસ્તુઓની ખરીદીના સમયમાં ફેરફાર કર્યો હોવાની અફવાઓએ જોર પકડ્યું હતું. એટલે લોકોના હિતને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટરે આ તમામ અફવાઓથી સાવધ રહેવા લોકોને અપીલ કરી હતી.
કોરોના વાઈરસ સામેની લડાઈમાં વિજય મેળવવા માટે જિલ્લા વહીવટીતંત્ર એડી ચોટીંનું જોર લગાવી મહેનત કરી રહી છે, ત્યારે કેટલાક તત્વો દ્વારા દાહોદમાં કોરોના વાઈરસનો પોઝિટિવ કેસ તેમજ આવશ્યક ચીજવસ્તુઓની ખરીદીના સમયમાં ફેરફાર કર્યા હોવાનો ખોટા મેસેજ વાયરલ કરી આફવા ફેલાવી રહ્યા છે.
જે અંગે વાત કરતાં જિલ્લા કલેક્ટરે આ તમામ વાતો અફવા હોવાનું જણાવતા કહ્યું હતું કે, આ વાયરલ મેસેજો ફક્ત અફવા છે. જિલ્લામાં કોઈ કેસ નોંધાયો નથી. તેમજ ખરીદીના સમયમાં પણ કોઈ ફેરફાર કરાયો નથી. એટલે કોઈએ ચિંતા કરવાની જરૂર નથી.
લોકડાઉન સાથે દાહોદ જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા કોરોના વાઈરસનો ફેલાવો અટકાવવા માટે વિવિધ પગલાં ભરવામાં આવી રહ્યા છે. વહીવટીતંત્ર, આરોગ્ય વિભાગ અને પાલિકા, પંચાયત દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે.
આમ, તંત્ર અને નગરજનો સાથે મળીને વર્તમાન પરિસ્થિતી સામે લડત આપી રહ્યાં છે, ત્યારે કેટલાંક અસમાજિક તત્વો ખોટી અફવા ફેલાવીને લોકોના જીવ સાથે રમત કરી રહ્યાં છે. એટલે જિલ્લા કલેક્ટરે આ પ્રકારની અફવાથી બચવા માટે લોકોને અપીલ કરી હતી.