દાહોદઃ દાહોદ નગર અને જિલ્લામાં કોરોના વાઈરસના વધતા જતા પ્રભાવને રોકવા માટે જિલ્લા વહીવટી તંત્ર એકશન મોડમાં આવ્યું છે.જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક જ ઝાટકે 55 જેટલા ધનવંતરી રથ મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. દાહોદ નગરમાં આજે 48 મેડિકલ ટીમો સાથે 33 ધનવંતરી રથો ફરતા કરી દેવામાં આવશે.
આ અંગે કલેક્ટર વિજય ખરાડીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, દાહોદ નગર સિવાય તાલુકામાં 22 ધનવંતરી રથો દ્વારા વ્યાપક પ્રમાણમાં હેલ્થ સ્ક્રીનિંગ હાથ ધરવામાં આવશે. ધનવંતરી રથમાં તબીબો સાથેની ટીમ તૈનાત રહેશે અને તે ખાસ કરીને કોરોનાનું સંક્રમણ જે વિસ્તારોમાં વધુ ફેલાયું છે. ત્યાં વ્યાપક પ્રમાણમાં આરોગ્ય ચકાસણીની કામગીરી હાથ ધરવામાં આવશે.ગોવિંદનગર, ગોદી રોડ, ગોધરા રોડ, ડબગરવાડ, ઘાંચીવાડ, દેસાઇવાડ સહિતના વિસ્તારોમાં ધન્વંતરિ રથો દ્વારા હેલ્થ ચેકઅપ કરવામાં આવશે.
કલેકટર વિજય ખરાડી નાગરિકોને આ માસ હેલ્થ સ્ક્રીનિંગમાં સહયોગ આપવા વિનંતી કરી છે. તેમણે કહ્યું કે, લોકો કોઇ પણ ડર વિના પોતાના આરોગ્યની તપાસણી કરાવે. જેથી કોરોના વાઈરસનું નિદાન સમયસર થઇ શકે અને તેનો ઉપચાર શરૂ કરાવી શકાય.