- પડતર પ્રશ્નોને લઈને આરોગ્ય કર્મીઓ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત
- બે મહિનાનો પગાર ન ચૂકવાતાં કર્મચારીઓએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું
- આરોગ્ય કર્મીઓની હડતાલને લીધે દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો
છોટાઉદેપુર: જિલ્લામાં આવેલી સરકારી હોસ્પિટલનાં ફાર્માસિસ્ટ, પટાવાળાઓ અને સ્વિપર સહિતનાં આઉટસોર્સિંગ પર રખાયેલા 32 કર્મચારીઓને છેલ્લા 2 મહિનાથી આઉટસોર્સિંગ એજન્સી દ્વારા પગાર ન ચૂકવાતા તેઓએ આખરે હડતાલનો સહારો લેવો પડ્યો છે. કર્મચારીઓનો આરોપ છે કે, એજન્સી અને હોસ્પિટલનાં સત્તાધીશોને વારંવાર રજૂઆત કરવા છતાં સમયસર પગાર ન મળતા તેઓની આર્થિક સ્થિતિ કફોડી બની છે.
કોરોનાકાળમાં પણ કર્મચારીઓએ ખડેપગે ફરજ બજાવી
કોરોના વોરિયર્સ કહેવાતા કર્મચારીઓનું કહેવું છે કે, તેઓ કોરોનાની મહામારીમાં પણ નિયમિત ફરજ બજાવી રહ્યાં છે. ત્યારે તેમને મહેનતાણું ચૂકવવા એજન્સી તરફથી કાયમ હેરાનગતિ કરવામાં આવે છે. આ ઉપરાંત તેઓને નિયત કરેલો પગાર પણ આપવામાં આવતો નથી. જ્યાં સુધી તેમના આ પ્રશ્નનો કાયમી નિકાલ નહીં આવે ત્યાં સુધી તેઓ કામથી અળગા રહેશે. વધુમાં હોસ્પિટલનાં પ્રાંગણમાં તેઓએ સુત્રોચાર પણ કર્યા હતા અને જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપીને કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી.