અંકલેશ્વર: 11મી સપ્ટેમ્બરના રોજ M.Com part-2માં એકાઉન્ટનસીનું પેપર લેવામાં આવ્યું હતું. જે પેપર પરીક્ષા પહેલાં જ સોશિયલ મીડિયામાં ફરતું થઈ ગયું હતું. પેપર લીક થતા વીર નર્મદ દક્ષીણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા તપાસના આદેશો પણ આપવામાં આવ્યા હતા.
![etv bharat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/r-gj-ank-av-01-nsuivirodh_16092020133943_1609f_1600243783_289.jpg)
જે વિદ્યાર્થીઓએ લોકડાઉનના સમયમાં પણ જીવના જોખમે પરીક્ષાઓ આપી હતી. તેઓ માટે આ ઘટના આઘાતજનક હોવાના આક્ષેપો NSUI દ્વારા કરવામાં આવ્યા હતા. દરમિયાન વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનીવર્સીટીની તપાસ સમિતિની તપાસમાં આ પેપર અંકલેશ્વરની કુસુમબહેન કડકીયા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ પ્રધ્યાપક દ્વારા લીક કરાયું હોવાનું પ્રાથમિક તબક્કે બહાર આવ્યું હતું.
![etv bharat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/r-gj-ank-av-01-nsuivirodh_16092020133943_1609f_1600243783_449.jpg)
અંકલેશ્વરની કડકીયા કોલેજ ખાતે એકાઉન્ટ્સ વિભાગના બે પ્રધ્યાપકો સેવા આપી રહ્યા છે. આ બે પૈકી એક દ્વારા પેપર લીક કરવામાં આવ્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જો કે હાલમાં આ અંગેની તપાસ ચાલી રહી છે. દરમિયાન NSUI દ્વારા બુધવારે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું અને કડકીયા કોલેજ ખાતે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. આ અંગે NSUIના પ્રમુખ યોગી પટેલે જણાવ્યું હતું કે, આ ઘટના શરમજનક છે અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થઇ રહ્યા છે. ત્યારે જવાબદારો સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.