અંકલેશ્વરમાં જીઆઇડીસી, ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશન તથા રાજય સરકારના સહયોગથી 70 કરોડ રૂપિયાના ખર્ચથી કોમન એન્ફલુએન્ટ પ્લાન્ટનુું નિર્માણ કરવામાં આવશે. 10 એમએલડી પાણીના શુધ્ધિકરણની ક્ષમતા ધરાવતાં પ્લાન્ટનું રાજયના નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલના હસ્તે ભૂમિપૂજન કરાયું હતું. આ પ્રસંગે રાજયના પર્યાવરણ મંત્રી જયદ્રથસિંહ પરમાર, સહકારમંત્રી ઇશ્વરસિંહ પટેલ, જીઆઇડીસીના ચેરમેન બલવંતસિંહ રાજપૂત,ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ,વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા,કલેકટર ડો.એમ.ડી.મોડિયા તેમજ ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા.
નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે જણાવ્યું હતું કે, રાજય સરકાર નાના ઉદ્યોગોના વિકાસ માટે સતત પગલાં ભરી રહી છે. અંકલેશ્વરમાં કોમન એન્ફલુએન્ટ પ્લાન્ટના કારણે પ્રદુષણની માત્રામાં ઘટાડો થશે. ઉદ્યોગોનું કરોડો રૂપિયાનું મુડીરોકાણ જે હાલ અટવાયેલું પડયું છે તે હવે વપરાશમાં આવશે. અંકલેશ્વરના ઉદ્યોગોના ઉત્પાદનમાં વધારો થશે અને જેનાથી વિદેશી હુંડીયામણ પણ વધશે.
-ઉદ્યોગોનાં પ્રદુષિત પાણીને ટ્રીટમેન્ટ કરી એન.સી.ટી.માં મોકલાશે
-અંકલેશ્વરને રમત ગમતનું મેદાન ફાળવવાની પણ જાહેરાત
આ બાદ અંકલેશ્વર ઉદ્યોગ મંડળનાં હોલમાં સમારોહ યોજાયો હતો, જેમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સહિત અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વેસ્ટ એક્ષચેન્જ સેન્ટર,બાયોકોલ બ્રીકેટ અને સીનીયર સીટીઝન એક્ટીવીટી સેનાર સહિતના પ્રોજેક્ટોનું પણ ખાતમુર્હત કરવામાં આવ્યું હતું. જીઆઈડીસીનાં ચેરમેન બળવંતસિંહ રાજપૂત દ્વારા અંકલેશ્વરમાં યુવાનો માટે રમત ગમતનું મેદાન ફાળવવાની જાહેરાત કરવામાં આવી હતી.