બનાસકાંઠાઃ કેન્દ્ર સરકાર દ્વારા 21 દિવસ માટે લોકડાઉન જાહેર થતા જ અનેક મજૂરો અને શ્રમિકોએ પોતાના વતનની વાટ પકડી. ગુજરાતની વાત કરવામાં આવે તો રાજસ્થાનથી સૌથી વધુ લોકો ગુજરાતમાં વસવાટ કરે છે. કોરોના વાઈરસ મામલે લોકડાઉન થતાં આ શ્રમિકો અને મજૂરો પોતાના વતન રાજસ્થાન તરફ જવા માટે પગપાળા તેમજ ખાનગી વાહનો દ્વારા જઈ રહ્યા છે.

હજુ પણ અનેક એવા લોકો છે કે, જે પદયાત્રા તેમજ ખાનગી વાહન મારફતે વતન તરફ જવા માગે છે. જેમને પોલીસે ગુજરાત અને રાજસ્થાન પોલીસે અટકાવી હોમ કોરોન્ટાઇલ કર્યા છે. આ સમગ્ર પરિસ્થિતિ વચ્ચે આજે ભુજ રેન્જ આઈ.જી સુભાષ ત્રિવેદીએ બનાસકાંઠા તેમજ રાજસ્થાનના સિરોહી જિલ્લાનાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

રાજસ્થાનથી ગુજરાતમાં અને ગુજરાતથી રાજસ્થાનમાં જતા લોકો મામલે શું કાર્યવાહી કરવી તેમને કયા પ્રકારે સમજાવવા તેમજ આવશ્યક સેવાઓ પર અસર ન પડે તે તમામ મુદ્દે ચર્ચા થઈ હતી. આ મિટિંગ બાદ સુભાષ ત્રિવેદીએ લોકોને અપીલ પણ કરી હતી કે આપણે સૌ ભારતીયો છીએ અને કોરોના મહામારી વચ્ચે આપણે સૌ સાથે મળી લડત ચલાવવાની છે. જેથી કોઈ ગુજરાતમાં છે તે રાજસ્થાનમાં ન જાય અને રાજસ્થાનમાં છે તે ગુજરાતમાં ન આવે. જ્યાં છે ત્યાં જ રહે તે માટેનો આગ્રહ પણ લોકોને કર્યો હતો.