બનાસકાંઠામાં ફરી એક વાર તીડે આક્રમણ કર્યુ છે. જેમાં 15 દિવસ અગાઉ 50 કિલોમીટરમાં પથરાયેલા કરોડો તીડનું ઝૂંડ બાડમેર અને જેસલમેર વિસ્તારમાં ધામા નાખ્યા હતા. જો કે, ત્યાર બાદ તેમાંથી 15 કિલોમીટરમાં પથરાયેલાનું એક તીડનું ટોળું બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં આવી ચડ્યું છે અને ખાસ કરીને વાવ પાસે આવેલા કૂંડાળીયા, રાધાનેસડા અને માવસરી વિસ્તારમાં ખેતીપાકો પર આ તીડ ત્રાટકતા ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
માવસરી અને કુંડળીયાની સીમમાં રાત્રી રોકાણ થતા વહેલી સવારે તીડ નિયંત્રણ ટીમે દવાનો છંટકાવ કર્યો હતો. તીડનો નાસ કરવા તીડ નિયંત્રણ, ખેતીવાડી વિભાગ અને ભારત સરકારની ટીમ પણ કામે લાગી ગઈ હતી. તેમ છતાં પણ તીડને નાથવા માટે આટલી ટીમો પૂરતી નથી તેમ ખેડૂતોનું માનવું છે.
જો કે, અવાર નવાર તીડના આક્રમણથી ખેડૂતો ભયભીત બની ગયા છે. ઉભા પાકનો સફાયો બોલાવી દેતું આ તીડનું ઝૂંડ જગતના તાતને દેવાદાર બાનાવી નાખશે એવી દહેશત સેવાઇ રહી છે. આ પાકિસ્તાન તરફથી આવેલા આતંકવાદી રૂપી આ ટીડના આક્રમણથી ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે.
બનાસકાંઠામાં સતત ત્રીજીવાર તીડના આક્રમણના કારણે જગતનો તાત મહા મુશ્કેલીમાં મુકાઇ ગયો છે, ત્યારે હવે આ પાકિસ્તાનમાંથી આવેલા આતંકવાદ રૂપી તીડના આતંકથી બનાસકાંઠાના ખેડૂતોને ક્યારે રાહત મળશે તે જોવું રહ્યું.