બનાસકાંઠાના ટોટાણા ગામને સંત સદારામ બાપાએ પોતાનું જીવન સમાજની સેવામાં સમર્પિત કર્યું હતું. છેલ્લા 20 દિવસથી તેમની નાદુરસ્ત તબિયત હોવાને કારણે તેઓને પાટણ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. પરંતુ આજે અચાનક તેઓની તબિયત વધારે નાજુક બનતા તબીબોએ તેમને રજા આપી હતી. ત્યારબાદ સાંજે 6.45 વાગે અંતિમ શ્વાસ લઈ દેવલોક પામ્યા હતા.
તેમના ભક્તો શ્રી સદારામ બાપુને લઈને તેમના મૂળ નિવાસ્થાને થરા પાસે આવેલા ટોટાણા આશ્રમ ખાતે લઇ આવ્યા હતા. જ્યાં તેમના અંતિમ દર્શન માટે તેમનો પર્થિવ દેહ રાખવામાં આવ્યો હતો. આ સમાચાર મળતા જ ઠાકોર સમાજના અગ્રણી અને ધારાસભ્ય ગેનીબેન ઠાકોર, ચંદનજી ઠાકોર, બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી, ગુજરાત ભાજપ મહામંત્રી કે.સી પટેલ સહિત ઠાકોર સમાજના અગ્રણી અને તેમના ભક્તો અંતિમ દર્શન માટે આવી પહોંચ્યા હતા. સદારામ બાપાએ અત્યાર સુધીમાં બે લાખથી વધુ લોકોને વ્યસન મુક્ત કર્યા છે. આવા પરોપકારી અને સદાય બીજાના દુઃખમાં સહભાગી થઈ સમાજના વિકાસ માટે પોતાનું સમગ્ર જીવન ન્યોછાવર કરનાર સદારામ બાપા ની અંતિમ ઘડીઓમાં તેમના ભક્તો ખડે પગે હાજર રહ્યા હતા.