- શોર્ટ સર્કિટના કારણે દુકાનમાં લાગી આગ
- આગમાં વેપારીને લાખોનું નુકશાન
- પોલીસ અને ડીસા નગરપાલિકા ફાયર ફાઈટરની ટીમ ઘટનાસ્થળે
- આગ લાગતા આજુબાજુના દુકાનદારોમાં ભયનો માહોલ
બનાસકાંઠા : જિલ્લામાં આગની ઘટનાઓમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં ક્યાંક અકસ્માતમાં આગની ઘટનાઓ સામે આવી રહી છે તો ક્યાંક શોર્ટ સર્કિટના કારણે આગની ઘટનાઓ બની રહી છે. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે-ત્રણ મહિનાથી સતત આગની ઘટનાઓ જોવા મળી રહી છે. ત્યારે આજે રવિવારના રોજ ડીસામાં પણ આગની ઘટના સામે આવી છે. ડીસાના સદર બજાર વિસ્તારમાં વર્ષોથી મોહન ઉજમ નામની પૂજા પાઠની પેઢી મહેશ દિનેશભાઈ મોદી ચલાવે છે. ત્યારે વહેલી સવારે ડીસાના સદર બજાર વિસ્તારમાં આવેલી તેમની દુકાન પર શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી અને જોતજોતામાં આ આગ વિકરાળ સ્વરૂપમાં ફેલાઈ હતી. આગ લાગતાની સાથે જ ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. આગના કારણે ચારે બાજુ ધુમાડાના ગોટેગોટા જોવા મળતા લોકોમાં ભય જોવા મળ્યો હતો. ડીસા શહેરમાં અગાઉ પણ શોર્ટ સર્કિટના કારણે અનેક ઘટનાઓ સામે આવી છે. ત્યારે ચોક્કસથી કહી શકાય કે, આજે ફરી એકવાર ડીસાના સદર બજારમાં લાગેલી આગની ઘટનામાં વેપારીને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
આગમાં વેપારીને લાખોનું નુકશાન
ડીસાના સદર બજાર વિસ્તારમાં પૂજા પાઠની દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે ભયંકર આગ લાગી હતી. આગ એટલી ભયંકર હતી કે, જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. વેપારીની દુકાનમાં તમામ પૂજાપાનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. સવારના સમય હોવાથી આગની ઘટનાની જાણ થઈ ન હતી. જેના કારણે જોતજોતામાં આગ વધી ગઈ હતી અને વેપારીને જાણ થાય ત્યાં સુધી દુકાનમાં પડેલ તમામ માલ સામાન બળી ગયો હતો. આ આગની ઘટનામાં વેપારીને 10 લાખથી પણ વધુ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આગની ઘટના રાખતા વેપારીની આંખમાં પણ આંસુ આવી ગયા હતા.
સદર બજારમાં આગની ઘટના સામે આવતાં જ ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને આગળ વધતા દુકાનના વેપારી દ્વારા તાત્કાલિક ધોરણે ડીસા નગરપાલિકાની ટીમને આગની ઘટનાની જાણ કરવામાં આવી હતી. ડીસા નગરપાલિકાનું ફાયર આવે ત્યાં સુધી તો આગ ચારે બાજુ ફેલાઈ ગઈ હતી. પરંતુ જે બાદ ડીસા નગરપાલિકાની ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં મેળવવા માટે કવાયત હાથ ધરવામાં આવી હતી. પરંતુ એક ફાયર ફાઈટરથી આગ કાબુમાં ન આવતા અન્ય ફાયરની ટીમ પણ બોલાવવી પડી હતી અને ચાર કલાકની ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી. પરંતુ આગની ઘટનામાં વેપારીને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. બીજી તરફ કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગને જોવા માટે આવેલા લોકોના ટોળાંને હટાવવાની કવાયત હાથ ધરી હતી.