આણંદ: ખંભાત શહેરના અકબરપુરના ત્રણ બત્તી વિસ્તારમાં શુક્રવારે બપોરના સમયે સામાન્ય બાબતની તકરારમાં બે જૂથો અથળામણ થઇ હતી. જેથી બન્ને જૂથોએ એક બીજા પર પથ્થરમારો શરૂ કર્યો હતો. અંદાજે એક કલાક સુધી થયેલા પથ્થરમારા બાદ પરિસ્થિતિ ખૂબ જ વણસી હતી.
બેકાબૂ બનેલા ટોળાએ ખૂબ જ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું અને અંદાજીત 7 જેટલા મકાનોને આગ ચાંપી હતી. જેથી કાબૂ મેળવવા માટે પોલીસને 25 કરતાં વધારે રાઉન્ડ ટીયરગેસ છોડવા પડ્યા હતા. ટીયરગેસ છોડવા છતાં પણ ટોળું નિયંત્રણમાં આવ્યું ન હતું. જેથી આણંદ LCBના PI વિરાણી દ્વારા 6 રાઉન્ડ ફાયરિંગ કરવાની ફરજ પડી હતી.


ફાયરિંગમાં વિનોદભાઈ ચાવડા નામના આધેડને ગોળી વાગી હતી. જેથી તેમને સારવાર અર્થે હોસ્પિટમાં ખસેડવામા આવ્યા હતા. જ્યાં હાજર તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.
બે જૂથો વચ્ચે થયેલી હિંસક અથડામણ પર કાબૂ મેળવવા સમગ્ર જિલ્લાની પોલીસ ખંભાતમાં ખડકી દેવામાં આવી હતી. આ ઉપરાંત પથ્થરમારો કરનારા આરોપીઓની અટકાયતી પગલાં પણ હાથ ધરવામાં આવ્યાં હતાં.
શહેરમાં પોલીસ દ્વારા પરિસ્થિતિ કાબૂમાં લીધા બાદ અટકાયત કરાયેલા લોકોની ઉંડાણપૂર્વકની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. દરમિયાન અટકાયત કરાયેલી મહિલાઓને છોડી મુકવાની માગ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે.
શુક્રવારે ખંભાતમાં થયેલા હિંસક જૂથ અથડામણમાં કેટલા લોકો ઘવાયા છે ઉપરાંત કેટલાને જાનમાલનું નુકસાન થયું છે, તે અંગે હજૂ કોઈ સ્પષ્ટતા થઇ નથી. આ ઉપરાંત પોલીસ દ્વારા અટકાયત કરાયેલા નાગરિકો અંગે પણ કોઈ પ્રકારની સ્પષ્ટતા કરવામાં આવી નથી.
પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સ્થાનિક આગેવાનો અને સામાજિક કાર્યકરો દ્વારા લોકોને શાંતિની અપીલ કરવામાં આવી રહી છે.