આણંદ: દેશમાં કોરોના વાઈરસના કારણે લોકડાઉન લાગુ છે, ત્યારે સરકારે ઘણા નિયમોમાં ફેરફાર કર્યા છે. જેમાં પાન-મસાલાનું વેચાણ ન કરવું તથા ધંધા રોજગારમાં ક્યારે ખોલવા અને ક્યારે નહીં તેને લઈ અલગ અલગ જગ્યાએ સંક્રમણ પ્રમાણે ઝોન જાહેર કરીને છૂટછાટ આપવામાં આવી છે.
![tarapur Citizens filed an application](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-and-tarapur-citizens-filed-an-application-against-the-police-for-harassing-the-people-7205242_18052020134616_1805f_1589789776_672.jpg)
લોકડાઉન દરમિયાન લોકોની અવરજવર પર નિયંત્રણ રાખવા માટે જ્યારે ખાખીને જવાબદારી સોંપવામાં આવી છે, ત્યારે તે જ ખાખીની આડમાં અમુક કર્મચારીઓ દ્વારા પ્રજાને હેરાન કરવાના કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે. તેવા સંજોગોમાં તારાપુરમાં પણ આવી જ ઘટના બનવા પામી છે.
આણંદ જિલ્લામાં આવેલા તારાપુર તાલુકામાં લોકડાઉનનું પાલન કરાવવા તંત્ર દિવસ રાત ખડે પગે કામ કરી રહ્યું છે. ત્યારે તારાપુર તાલુકામાં એક પણ કોરોના પોઝિટિવ કેસો નોંધાવા પામ્યો નથી. પરંતુ આ વચ્ચે પોલીસના ત્રણ કર્મીઓ દ્વારા પોતાની સાચી ફરજ ભૂલી યેનકેન પ્રકારે પ્રજાને હેરાન કરવાનું ચાલુ કર્યું છે. આ ત્રણ પોલીસ કર્મચારીઓ વિરૂદ્ધ પ્રજાએ સોમવારે આવેદન પત્ર આપ્યું હતું.
![tarapur Citizens filed an application](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-and-tarapur-citizens-filed-an-application-against-the-police-for-harassing-the-people-7205242_18052020134616_1805f_1589789776_359.jpg)
તારાપુરમાં આવેલા વેપારીઓને છેલ્લા ઘણા સમયથી હેરાન કરતા ત્રણ પોલીસ કર્મચારીઓ વિરૂદ્ધ વેપારી તથા સ્થાનિકોએ આવેદન પત્ર આપ્યું છે. સ્થાનિકોની માંગ છે કે, ખાખીનો ખોટો રોફ જમાવી મસમોટા તોડ કરતા ત્રણ કર્મચારીઓને તંત્ર આકરી સજા કરી સબક શીખવાડે.
આવેદન પત્રમાં જણાવ્યા અનુસાર, લોકડાઉન દરમિયાન પાન, બીડી, તમાકુ નહીં વેચવા સરકારના આદેશની અમલવારીના નામે પોલીસ જવાનો પ્રવિણભાઈ કનુભાઈ ડાભી, તુષારગીરી મહેશગીરી અને કેતનકુમાર શાંતિલાલ સાદા ડ્રેસમાં બજારોમાં નીકળી પડતા હતા. જેમાં યેનકેન પ્રકારે વેપારીઓને પરેશાન કરીને તોડ કરતા હોવાનો આક્ષેપ કરાયો છે.
![tarapur Citizens filed an application](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-and-tarapur-citizens-filed-an-application-against-the-police-for-harassing-the-people-7205242_18052020134616_1805f_1589789776_715.jpg)
આ બાબતે ત્રસ્ત થઈને સોમવારે તારાપુર પંચાયતના સરપંચ સહિતના કમિટી સભ્યો અને તારાપુરના વહેપારીઓ કુલ મળીને 174 લોકોની સહિ સાથેનું આવેદન પત્ર મામલતદારને આપવામાં આવ્યું છે. જેમાં ત્રણ કોન્સ્ટેબલોના નામ અને બકલ નંબર સહિતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ત્રણેયે મોટી રકમનો તોડ કર્યા સહિતની બાબતનો ઉલ્લેખ કરીને તેઓની વહેલી તકે બદલી અને શિક્ષાત્મક પગલા લેવાની પણ માંગ કરવામાં આવી છે.
![tarapur Citizens filed an application](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-and-tarapur-citizens-filed-an-application-against-the-police-for-harassing-the-people-7205242_18052020134616_1805f_1589789776_69.jpg)