- આણંદમાં આશા વર્કર્સે યોજી રેલી
- પોલીસે 40 જેટલી આશાવર્કર પર કરી કાયદેસરની કાર્યવાહી
- 240 જેટલી આશા વર્કર બહેનો જોડાઈ હતી કાર્યક્રમમાં
આણંદ : ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન, આણંદ જિલ્લા દ્વારા આણંદના શાસ્ત્રીબાગ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં 200 થી વધુ આંગણવાડી તેમજ આશાવર્કર બહેનોએ ભેગા થઈને સરકારની નીતિઓ સામે સૂત્રોચ્ચાર કર્યો હતો. જોકે, જિલ્લામાં કલેક્ટરનું જાહેરનામુ અમલી હોવાના કારણે આંગણવાડી બહેનોને રેલી કાઢવાની મંજૂરી આપવામાં આવી ન હતી. આથી રેલી સ્વરુપે નીકળેલ તમામ બહેનોની અટકાયત કરીને શહેર પોલીસ મથક ખાતે લઈ જવાઇ હતી.બાદમાં તમામ બહેનોનો છુટકારો કરવામાં આવ્યો હતો.
આણંદ જિલ્લા આંગણવાડી કર્મચારી સંગઠનના હોદ્દેદાર કૈલાસબેન રોહિતે જણાવ્યું હતું કે, ગુજરાતમાં 40 હજારથી વધુ આશા વર્કરો અને ફેસીલીએટર બહેનો ફરજ બજાવે છે. કોરોના જેવી મહામારીમાં જિલ્લાના ગામડાઓ અને શહેરોમાં આ બહેનોએ કપરી પરિસ્થિતિમાં પણ પોતાની ફરજો બજાવી છે. તેમજ રેડઝોન વિસ્તારમાં પણ જીવના જોખમે ફરજો બજાવી છે. કામગીરી દરમિયાન આશાવર્કરને મહિને રૂ.1000 અને ફેસીલીએટરને માત્ર રૂ. 500નું ચૂકવણું કરવામાં આવ્યું છે. જેમાંથી અડધા લોકોને હજુ સુધી માનદ પગાર ન મળ્યાનું જણાવ્યું હતું. વધુમાં જણાવ્યું હતું કે, મહામારીમાં આશાવર્કરને દૈનિક રૂ.33 અને ફેસીલીએટરને દૈનિક રૂ. 17 નું ચૂકવાતું વેતન ખૂબ ઓછું છે. જ્યારે અન્ય વિભાગના કર્મચારીઓને સરકાર દ્વારા દૈનિક રૂ. 300નું ચૂકવણું કરવામાં આવ્યું છે. જેથી અમોને સરકાર દ્વારા ઘણો જ અન્યાય કરવામાં આવી રહ્યો છે. જેથી આગામી બજેટમાં આશાવર્કર બહેનોને મહિને રૂ. 6000 ફિક્સ પગાર અને અન્ય લાભોની જોગવાઈ કરવામાં આવે જ્યારે ફેસીલીએટર બહેનોને સરકાર દ્વારા ચૂકવવામાં આવતા પ્રવાસી ભથ્થાને બદલે રૂ.8000 ફિક્સ પગાર ચૂકવવામાં આવે તેવી અમારી માંગ કરવામાં આવી છે. વધુમાં આશાવર્કર અને ફેસીલીએટર બહેનોને ત્રણ વર્ષથી ડ્રેસ અને સાડીઓ આપવામાં નથી આવી. તેનો રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક અસરથી અમલ કરવામાં આવે. તેમજ સિનિયોરીટીના ધોરણે નિમણૂક અને આશાવર્કર અને ફેસીલીએટર બહેનોના કામના કલાક નક્કી કરવામાં આવે આ માંગ કરવામાં આવી હતી.
કલેકટર કચેરીએ પહોંચી નિયમ અનુસાર અનુસરીને આવેદનપત્ર આપ્યું
આણંદ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં 240 કરતા વધારે આશાવર્કર બહેનોએ આણંદમાં આવેલ શાસ્ત્રી મેદાનથી કલેકટર કચેરી ખાતે ભારે સૂત્રોચ્ચાર કરી રેલીનું આયોજન કર્યું હતું. હાલ જિલ્લામાં કલેકટરના જાહેરનામા પ્રમાણે જાહેર પ્રોગ્રામો જેવા કે, રેલી, સરઘસ જેવા પર પ્રતિબંધ મુકેલો હોવાથી પોલીસ દ્વારા આ તમામ આશા બહેનોની અટકાયત કરવામાં આવી હતી. જ્યારે આ બહેનોને પોલીસ દ્વારા રોકવામાં આવી ત્યારે સામાન્ય ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા હતા. અંતમાં પોલીસ દ્વારા તમામ બહેનોને પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ સ્ટેશનમાં 2 કલાક બેસાડ્યા બાદ આશા બહેનોએ કલેકટર કચેરીએ પહોંચી નિયમ અનુસાર અનુસરીને આવેદનપત્ર આપ્યું હતું.