આ કેસની સુનાવણી દરમિયાન રાજ્ય સરકાર વતી મુખ્ય સરકારી વકીલ મનીષા શાહે અરજદારના આક્ષેપોને નકાર્યા હતા. તેમણે કોર્ટનું ધ્યાન દોરતાં જણાવ્યું હતું કે, ‘અરજદારના મોટાભાગના આક્ષેપો ખોટા છે અને સરકાર કાયદાનું સંપૂર્ણપણે અમલ કરાવે છે. રાજ્યની તમામ નગરપાલિકા અને મહાનગરપાલિકામાં સફાઇ કામદારોને ભૂગર્ભમાં ઉતરીને ગટર સફાઇ પર પ્રતિબંધ છે.’ તેમણે કોર્ટને જણાવ્યું હતું કે,‘કોઇ પણ પાલિકામાં આવી કામગીરી કરાવવામાં આવતી નથી. તેના સરવેની માહિતી પણ મગાવવામાં આવી છે.
જાહેરમાં શૌચ બંધ કરાવવામાં આવ્યું છે અને શૌચાલયો બાંધવામાં આવ્યાં છે. વિજિલન્સ અને મોનિટરિંગ કમિટીઓની નિમણૂક પણ કરી છે. જે એક-બે મુદ્દા બાકી છે એના પર પણ અમલ થઇ રહ્યો છે. મેન્યુઅલી ગટરની સફાઇની પ્રથા ઉપર પ્રતિબંધના કાયદાને ગેઝેટમાં નોટિફાઇડ કરવામાં આવ્યો છે. તે ઉપરાંત કાયદાની પુન:સ્થાપનની જોગવાઇનો અમલ પણ કરાય છે. અસરગ્રસ્તોના કુટુંબને રૂપિયા ૧.૫ કરોડ ફાળવવામાં પણ આવ્યાં છે.