હાઇકોર્ટના આ ચુકાદાથી દેશભરમાં TRAN-1 અને TRAN-2 ફોર્મ નહીં ભરી શકેલાં અને ટેકનિકલ ખામીનો ભોગ બનેલા હજારો કરદાતાઓ તેમના કરોડો રૂપિયાની ક્રેડિટ કેરી ફોરવર્ડ કરી શકશે. કેસમાં અરજદાર મેસર્સ સિદ્ધાર્થ એન્ટરપ્રાઇઝ વતી એડવોકેટ વિશાલ દવે, એડવોકેટ નિપુમ સિંઘવી અને સિનીયર એડવોકેટ વિનય શરાફે હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેમાં એવી રજૂઆત કરી હતી કે,‘ટેક્સના જૂના કાયદા હેઠળ એક્સાઇઝની સામે ક્રેડિટ કેરી ફોરવર્ડ મળતી હતી.
GSTનો કાયદો આવ્યા બાદ એવું ઠેરાવવામાં આવ્યું કે જૂના કાયદામાં જે ક્રેડિટ પડી છે એ કેરી ફોરવર્ડ લેવી હોય તો TRAN-1(ઇનવોઇઝ બેઝ ક્રેડિટ) અને TRAN-2 (પડેલો માલ વેચીને ક્રેડિટ લેવી હોય તો) ફોર્મ ભરવાનું રહેશે. આ ફોર્મ ભરવા છ મહિનાની મુદત આપવામાં આવી હતી.
સમય મર્યાદામાં ફોર્મ ન ભરાય તો ક્રેડિટ શૂન્ય થઇ જશે. અલબત્ત, GSTના પોર્ટલના છબરડાંના લીધે અનેક કરદાતાઓ ફોર્મ ભરી શકતા ન હતાં. અરજદાર તરફથી પણ ફોર્મ ન ભરાતું હોવાની ફરિયાદ ઓથોરિટીમાં કરી હતી. પરંતુ કોઇ નિકાલ આવ્યો ન હતો. દરમિયાન ફોર્મ ભરવાની મર્યાદા પણ વધારવામાં આવી હતી. છતાં પણ પોર્ટલના છબરડાં ચાલુ રહ્યાં હતાં.
અરજદારે હાઇકોર્ટમાં રિટ કરીને કહ્યું હતું કે,‘જૂના કાયદા પ્રમાણે નાણા સ્વરૂપે જે ક્રેડિટ પડી છે એ મારી પ્રોપર્ટી હોઇ બંધારણીય અધિકાર છે. તેને સમય મર્યાદામાં બાંધી શકાય નહીં.’ હાઇકોર્ટના જસ્ટિસ પારડીવાલાની ખંડપીઠે નોંધ્યું હતું.
ફોર્મ ભરવાની સમયમર્યાદા લાદીને અરજદારને CENVAT ક્રેડિટ કેરી ફોરવર્ડ લેવાથી વંચિત રાખવાથી તેની કરોડોનું વર્કિંગ કેપિટલ પ્રભાવિત થશે અને તેઓ વેપાર કરવાની ક્ષમતા ગુમાવી બેસશે. આ પ્રકારની કાર્યવાહી ગેરબંધારણીય હોઇ માન્ય રાખી શકાય નહીં.’ આ અવલોકનો સાથે હાઇકોર્ટે અરજદારની રિટ ગ્રાહ્ય રાખી તેનો નિકાલ કર્યો હતો.