અમદાવાદઃ સિવિલ હોસ્પિટલ ખાતે ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કોરોનાગ્રસ્તની સ્થિતિ અંગેની માહિતી પરિવારજનોને સરળતાથી મળી રહે તે હેતુથી 079-22670000 હેલ્પલાઈન નંબર શરૂ કરવામાં આવ્યો છે.
અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સ્થિતિ અંગે ખૂબ ફરિયાદો મળતાં અને દર્દીઓના રિપોર્ટથી માંડીને સારવારમાં અનેક બેદરકારી બહાર આવતા હવે તંત્રએ હેલ્પલાઈન નંબર શરૂ કર્યો છે. 079-22670000 નંબર પર ફોન કરવાથી સિવિલ હોસ્પિટલ તરફથી દર્દીની સ્થિતિ અંગેની જાણકારી આપવામાં આવશે.
કોરોનાગ્રસ્તના પરિવારજનોની માહિતીના અભાવે ચિંતા કરે તે સ્વાભાવિક છે, તેવા સમયે માહિતી ઉપલબ્ધ કરાવવા માટે હેલ્પલાઈન સહાયરૂપ બની રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, સિવિલ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીના સગા-સબંધીઓને સરળતાથી માહિતી મળી રહે તે માટે હોસ્પિટલમાં કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ અને ડેશબોર્ડ પણ શરૂ કરવામાં આવ્યું છે, ત્યારે હેલ્પલાઈન નંબર ખૂબ જ મદદરૂપ બની રહેશે.