જમ્મુ: કાશ્મીરના 'કોમેડી કિંગ'ના નામથી પ્રખ્યાત લોકપ્રિય અભિનેતા શાદીલાલ કૌલનુ જમ્મુની હોસ્પિટલમાં નિધન થયુ હતુ. તેઓ 66 વર્ષના હતા. તેમના પુત્રના જણાવ્યા અનુસાર તેઓ કેન્સરથી પીડિત હતા અને અઠવાડિયા પહેલા જ તેઓ હોસ્પિટલમાં દાખલ થયા હતા. તેમના કુટુંબમાં તેમના પત્ની, એક પુત્ર અને એક પુત્રી છે.
તેઓ શ્રીનગરમાં જન્મ્યા હતા. વર્ષ 1990માં કાશ્મીરમાં આતંકવાદ ચરમસીમાએ હોવાના કારણે તેમને કાશ્મીર ઘાટી છોડીને જમ્મુ આવી જવું પડ્યું. પરંતુ તેમણે કાશ્મીરી ભૂમિ અને રંગમંચની સાથે નાતો જાળવી રાખ્યો હતો.
તેઓ તેમના જીવનના 40 વર્ષ સુધી ટેલિવિઝન અને રંગમંચ સાથે સંકળાયેલા રહ્યા. દૂરદર્શન પર 1981 થી 1983 સુધી પ્રસારિત થનાર ધારાવાહિક 'સબરંગ'માં અભિનય માટે તેઓ પ્રખ્યાત થયા હતા. તેમની આગવી પ્રતિભા વડે તેઓ દૂરદર્શન કેન્દ્ર શ્રીનગર તથા ડીડી કાશ્મીર પર આવતી ધારાવાહિકમાં કામ કરીને લોકપ્રિય થયા હતા. તેમને ઘણા પુરસ્કારો પણ મળ્યા હતા.