- રાજ્ય સરકાર તરફથી વીડિયો કોન્ફરન્સ યોજવામાં આવી
- તૌકતે વાવાઝોડા દરમિયાન શું કાળજી લેવી તે તમામ સૂચનાઓ અપાઈ
- જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન પણ જોડાયા
રાજકોટઃ આગામી તારીખ 17, 18, 19-05-2021ના રોજ સંભવિત "તૌકતે” વાવાઝોડાની આગાહી સંદર્ભે તકેદારીના ભાગરૂપે તેમજ કુદરતી આપતિની પરિસ્થિતિને પહોંચી વળવા લેવાના થતાં આગોતરા પગલાંઓના ભાગરૂપે આજે રવિવારે રાજ્ય સરકાર તરફથી વીડિયો કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં તૌકતે વાવાઝોડા દરમિયાન શું કાળજી લેવી અને આ પરિસ્થિતિને પહોંચી વળવા શું કરવું તે તમામ સૂચનાઓ આપવામાં આવી હતી. આ કોન્ફરન્સમાં રાજકોટ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન પણ જોડાયા હતા.
જિલ્લાના તમામ સરકારી કર્મચારીઓની રજા રદ
આ બેઠકમાં મળેલી સૂચના અનુસાર જિલ્લા કલેક્ટર દ્વારા જિલ્લામાં આવેલી તમામ રાજ્ય સરકારની કચેરીઓના તમામ અધિકારી / કર્મચારીઓ, આરોગ્ય સેવાઓ સાથે સંકળાયેલા મેડિકલ / પેરામેડિકલ સ્ટાફ, ટેકનિકલ સ્ટાફ, PGVCL તેમજ તમામ બોર્ડ નિગમ તથા સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના અધિકારી / કર્મચારીઓ (કરાર આધારિત કર્મચારીઓ, આઉટસોર્સીગના કર્મચારીઓ સહિત) કોઈ પણ અધિકારી / કર્મચારી હાલ રજા ઉપર હોય તો અનિવાર્ય અને તબીબી કારણોસરની રજાઓ સિવાય તમામની રજા રદ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ સતર્ક બનો: તૌકતે વાવાઝોડા પહેલા અને પછી રાખો આ તકેદારી
ફરજમાં બેદરકારી અંગે કાર્યવાહી કરાશે
આ સાથે જ જિલ્લા કલેક્ટર દ્વારા સૂચના પણ આપવામાં આવી છે કે, આગામી તારીખ 17, 18, 19-05-2021 દરમિયાન તમામ અધિકારી / કર્મચારીઓએ કાર્યમથકમાં હાજર રહેવા તેમજ જિલ્લા કલેક્ટરની પૂર્વ મંજૂરી સિવાય કોઈ પણ પ્રકારની રજા મંજૂર નહી કરવા તેમજ કાર્યમથક નહી છોડી શકે. જ્યારે આ હુકમની જોગવાઈઓનો ભંગ થવાના પ્રસંગે કે ફ૨જમાં ચૂક કે બેદરકારીના પ્રસંગે ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ-2005ની કલમ–5, 6 મુજબ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.