રાજકોટઃ શહેર-જિલ્લામાં કોરોના વાઇરસના સંક્રમણને ફેલાતુ અટકાવવા તંત્ર કામે લાગ્યું છે. જિલ્લા વહીવટી તંત્ર અને મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા ‘‘સાવચેતી એ જ સલામતી’’ના આધારે શ્રેણીબદ્ધ પગલાં ભરવામાં આવી રહ્યા છે. શહેરની ગ્રીનલેન્ડ ચોકડી ખાતે કામ ચલાઉ ચેક પોસ્ટ ઉભી કરવામા આવી છે. રાજકોટ શહેરમા પ્રવેશતી ખાનગી ટ્રાવેલ્સના પ્રવાસીના હેલ્થ સ્ક્રિનિંગની સાથે રેપિડ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.
ગ્રીન લેન્ડ ચોકડી ખાતેની ચેક પોસ્ટ ખાતે ફરજ બજાવતા મેડીકલ ઓફિસર ડો.અંજલી પેઢડીયાએ કહ્યું કે,જે પ્રવાસીની જેમની ઉંમર 60થી વધુ હોય તેમજ ડાયાબીટીસ, હ્રદય રોગ વગેરે રોગથી પીડિત હોય અને શરદી, તાવ, ઉધરસ જેવા લક્ષણ ધરાવતા હોય તેવા લોકોના પણ રેપિડ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવે છે.
આ ઉપરાંત અન્ય જે કોઇ પણ વ્યક્તિ ટેસ્ટ કરાવવા માગતા હોય તો તેમનો પણ ટેસ્ટ કરવામાં આવે છે. થર્મલ ગન, પલ્સ ઓક્સીમીટર વગેરે અદ્યતન સાધનો દ્વારા તેમના આરોગ્યની તપાસણી પણ કરવામાં આવે છે. તેમના ચેકઅપના આધારે તેમની જરૂરિયાત મુજબની દવાઓ આપવામાં આવે છે.
જે લોકોનો ટેસ્ટ પોઝિટિવ આવે તેમને હેલ્થ સેન્ટર આ બાબતની જાણ કરી ક્વોરન્ટાઈન કરવાની સાથે તેમની જરૂરી સારવારની પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હોય છે.
![રાજકોટના સમાચાર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/03:38:35:1600855715_gj-rjt-02-corona-test-av-7202740_23092020153731_2309f_1600855651_421.jpg)
આ માટે ધન્વંતરી રથના આરોગ્ય કર્મીઓ પોઝિટિવ દર્દીની સારવાર માટે મુલાકાત લઈ, સારવાર અને જરૂરી માર્ગદર્શન પૂરૂ પાડવામા આવે છે. ઉપરાંત સંજીવની રથના માધ્યમથી ક્વોરન્ટાઈન કરાયેલ દર્દીઓનું સતત ફોલોઅપ લેવામા આવે છે. દર્દીઓને જરૂરી સારવાર મુજબ એઝીથ્રોમાઈસીન, સીપીએમ, પીસીએમ, ફોલીક એસિડ, વિટામીન બી-૧૨, વિટામીન-સી, ઝીંક, પેન્ટો પ્રેજોલ વગેરે દવાઓ આપવામા આવે છે.
ડૉ. અંજલી પેઢડીયાએ કહ્યું કે, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલના માર્ગદર્શન હેઠળ કોરોના વાઇરસના સંક્રમણને રોકવા માટેના પ્રયાસો કરવામા આવી રહ્યા છે. જેના ભાગરૂપે ખાસ કરીને બહાર આવતા સંક્રમિતોની ટેસ્ટ કરવાથી ઓખળ થઈ શકે છે. જેથી સંક્રમણ ફેલાતુ અટકાવી શકાય છે.
તેમજ લક્ષણજન્ય દર્દીઓની ઓળખ કરી શકાય છે. આમ, રેપિડ એન્ટીજન ટેસ્ટ કરવાની સાથે લોકોના હેલ્થ સ્ક્રિનિંગથી આવનારા દિવસોમા ખૂબ સારા પરિણામો પ્રાપ્ત થશે. તેવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો.