- પરિવારના સભ્યો સંક્રમિત છતા દર્દીઓની સેવામાં સમર્પિત રાજકોટ સિવિલના તબીબ
- માતા, પિતા, પત્ની સહિત આખો પરિવાર કોરોના સંક્રમિત
- તબીબે પરિવાર કરતા ફરજને આપી પ્રાથમિકતા
રાજકોટ: 73 વર્ષીય પિતા અને 65 વર્ષીય માતા, 39 વર્ષીય પત્નિ, નાનો ભાઈ તથા તેના પત્ની કોરોનાગ્રસ્ત હોય, ઘરમાં 3 બાળકો કઠીન પરિસ્થિતિમાંથી પસાર થતા હોય અને વ્યક્તિ પર પરિવાર અને શહેરના લોકોને બચાવવાની ડૉક્ટર તરીકેની બેવડી જવાબદારી હોય. આવા સમયે સમાજ પ્રત્યેની જવાબદારીને પ્રાથમિકતા આપીને સતત પોતાની ફરજ બજાવી રહેલા PDU સિવિલ હોસ્પિટલ, રાજકોટના મેડીસિન વિભાગના નોડલ ઓફીસર ડૉ. રાહુલ ગંભીરની આ વાત છે.
તમામ દર્દીઓ મેડીસિન વિભાગના તબીબોની સારવાર મેળવી રહ્યા છે
કોરોના સંક્રમણનો ભોગ બનેલા લોકોને ઉગારવા માટે અત્યાર સુધી પડદા પાછળ રહીને સૌથી મહત્વની ભૂમિકા ભજવનારા રાજકોટ સિવિલ હોસ્પિટલ મેડીસિન વિભાગના ખાતે કોવિડ- 19ના દર્દીઓ માટે જરૂરી અને અગત્યની સારવાર આપીને તબીબો રાત દિવસ ફરજ બજાવી રહ્યા છે. રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે તમામ દર્દીઓ મેડીસિન વિભાગના તબીબોની સારવાર મેળવી રહ્યા છે.
તબીબનો પરિવાર થયો કોરોના સંક્રમિત
ડૉ. રાહુલ ગંભીર જણાવે છે કે, કોરોના વાઈરસના સંક્રમણનો ભોગ કોઈપણ વ્યક્તિના ઘર સભ્યો બને ત્યારે પરિસ્થિતિ ખરાબ અને અસહ્ય બની જાય છે. મારા 73 વર્ષીય પિતા અને 65 વર્ષીય માતા, 39 વર્ષીય પત્નિ, નાનો ભાઈ તથા તેના પત્ની કોરોનાગ્રસ્ત બન્યા હતા. જેમાંથી મારા પિતા અને નાનો ભાઈ તથા તેના પત્ની કોરોના મુક્ત બન્યા છે. અમારા ઘરમાં 13 વર્ષનું એક બાળક અને 10 અને ૫ાંચ- પાંચ વર્ષની બે નાની નાની બાળકીઓ છે. મારી માતાને બીપી અને ફેફ્સાની બીમારી છે. તારીખ 16 એપ્રિલથી પોઝિટિવ છે. જ્યારે મારા પત્નીને કોઈ અન્ય કોઈ મોટી બીમારી નથી, પરંતુ તેમની તબિયત નાજૂક છે. છેલ્લા પાંચેક દિવસથી તે બન્ને સિવિલમાં સારવાર લઈ રહ્યા છે.
"કર્મ એ જ સાચો ધર્મ છે” વાતને ખરા અર્થમાં સાકાર કરતા તબીબ
“કર્મ એ જ સાચો ધર્મ છે” આ વાતને ખરા અર્થમાં સાકાર કરતા ડૉ. ગંભીરે જણાવ્યું હતું કે, એક સમયે હું પોતે ઘરથી એટલા માટે દૂર રહેતો હતો કે ઘરના સભ્યોને કોરોના સંક્રમિત ન થાય અને આજે જ્યારે કોરોનાની બીજી લહેર ચાલી રહી છે, ત્યારે ઘરના સભ્યોથી એટલે દૂર રહું છું કે હું કોરોના સંક્રમિત ન થઈ જાઉં. મારા પરિવારને જેટલી મારી જરૂર છે, એનાથી વિશેષ જરૂર અત્યારે સમાજને મારી છે. દેશને પણ મારી જરૂર છે. મારી કર્તવ્યનિષ્ઠામાં મને કોઈ બાધા નડતી નથી. આ મુશ્કેલીના સમયે ભગવાને મારા મનોબળને વધુ મજબુત કર્યુ છે. જો હું જ હિંમત હારી જઈશ તો કોરોનાના સંક્રમણને અટકાવવામાં હું સરકારને સહયોગી કેમ થઈ શકીશ!
આ પણ વાંચો : રાજકોટને રાહત: કોવિડ હોસ્પિટલ બહાર દર્દીઓની લાઈનમાં નોંધપાત્ર ઘટાડો
કોરોના રોકવા નિયમોનું પાલન કરવું જરૂરી
ભવિષ્યમાં આવી વિકટ પરિસ્થિતિનું નિર્માણ ન થાય તે માટે સૌને અપીલ કરતા ડૉ. ગંભીરે જણાવ્યું હતું કે, આપણે સોશિયલ ડિસ્ટન્સ નહીં રાખીએ તો કોરોનાને પહોંચી વળવા મુશકેલી પડતી હોય છે. સમજદારીપૂર્વક વર્તીને સોશિયલ ડિસ્ટન્સ જાળવીએ, માસ્ક યોગ્ય રીતે નાકની ઉપર પહેરીએ અને હાથને વારંવાર સેનિટાઈઝ કરીએ અથવા સમયસર 40 સેકન્ડ માટે હાથ ધોતા રહીએ. કોરોનાથી જલ્દી મુક્તિ મળે તે માટે જાગૃતિ જરુરી છે. પરંતુ ઉપરોક્ત નિયમોનું પાલન કરીને કોરોના સંક્રમણને કાબૂમાં રાખી શકાય છે, જેથી એક સાથે કેસ ન આવે અને પરિસ્થિતિને કાબુ કરી શકાય.
આ પણ વાંચો : રાજકોટની 63 વર્ષની મહિલાને કેન્સર હતું અને કોરોના થયો, બન્નેને આપી મ્હાત
તબીબ દરરોજ 14 કલાક કરી રહ્યા છે કામ
સપ્ટેમ્બર- 20થી ઓક્ટોબર- નવેમ્બર-20 દરમિયાન અમને લોકોને 10 દિવસ કોવિડ ઝોનમાં તો 5 દિવસ નોન કોવિડ ઝોનમાં કામ કરવા માટે રોટેશન મળતું હતુ. પરંતુ હાલની પરિસ્થિતિને જોતા 10 કે 12 માર્ચથી લઇને બધા જ કોરોના વૉર્ડમાં ડ્યૂટી કરી રહ્યા છે. વર્તમાન સંજોગોમાં કોરોના મહામારીની બીજી લહેરના કારણે રજા કે રોટેશન શક્ય નથી. રોજના બાર- ચૌદ કલાક અહીં કામ કરવું સામાન્ય થઈ પડ્યું છે. આખા દિવસ દરમિયાન 5થી 6 કલાકનો આરામ મળી રહે છે. સ્ટાફની દરેક વ્યક્તિ સંપૂર્ણ પારિવારિક ભાવનાથી માત્ર પોતાની ફરજ જ નહીં, પરંતુ દેશસેવાના આ અવસરને સંપૂર્ણ ચરિતાર્થ કરી રહ્યા છે. મેડીકલ સ્ટાફ પોતાની સ્ટ્રેન્થ- સ્ટેમિના અને અવેરનેસ ટકાવી રાખવા માટે યોગ અને પ્રાણાયમ માટે અડધો કલાક સમય બચાવીને એ પણ કરી લે છે.