- વાવાઝોડા બાદ વન વિભાગના અગ્ર સચિવે શેર કર્યો હતો વીડિયો
- 2 દિવસ અગાઉ શેર કરાયેલો વીડિયો 3 મહિના જૂનો નીકળ્યો
- આફ્રિકાનો વીડિયો ગીરનો ગણાવીને શેર કરતા અંતે ખેદ વ્યક્ત કર્યો
ન્યૂઝ ડેસ્ક: ગુજરાતમાં તૌકતે વાવાઝોડાની તબાહી બાદ ગીરમાં સિંહો સલામત હોવાનો એક વીડિયો વન વિભાગના અગ્ર સચિવે સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. જ્યારબાદ આ વીડિયો વાઈરલ થતા ખોટો હોવાનું સાબિત થયું હતું. જેના કારણે તેમણે અને વીડિયો શેર કરનારા રાજકારણીઓએ પણ ખેદ વ્યક્ત કર્યો હતો.
![ડૉ. રાજીવ ગુપ્તા દ્વારા કરવામાં આવેલું ટ્વિટ, જે પાછળથી ડિલીટ કરી દેવામાં આવ્યું હતું](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11848419_img-1.jpeg)
ડૉ. રાજીવ ગુપ્તાએ આ વીડિયો ગીરની અકોલવાડી રેન્જનો હોવાનો ગણાવ્યો હતો
વન વિભાગના અગ્ર સચિવ ડૉ. રાજીવ ગુપ્તાએ ટ્વિટર પર 10 જેટલા સિંહો જળપ્રવાહ પાર કરી રહ્યા હોય તેવો એક વીડિયો શેર કર્યો હતો. કેપ્શનમાં તેમણે લખ્યું હતું કે, " તૌકતે વાવાઝોડા બાદ ગીરમાં સિંહો સલામત છે. ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો ફિલ્ડ સ્ટાફ સિંહોનુ સતત મોનિટરીંગ કરી રહ્યા છે." પોતાના ટ્વિટમાં તેમણે આ વીડિયો ગીરની અકોલવાડી રેન્જનો હોવાનું જણાવ્યું હતું. આ અંગે ETV Bharat દ્વારા વન વિભાગના અગ્ર સચિવ ડૉ. રાજીવ ગુપ્તાનો સંપર્ક કરવામાં આવ્યો હતો. 4 વખત ટેલિફોનિક સંપર્ક સાધવા છતા તેમના તરફથી કોઈ પ્રતિક્રિયા મળી ન હતી.
વન વિભાગના અગ્ર સચિવે શેર કરેલો વીડિયો ખરેખર છે ક્યાંનો?
ડૉ. રાજીવ ગુપ્તાએ શેર કરેલા આ વીડિયોની તપાસ કરતા તે ખરેખર આફ્રિકાનો હોવાનું બહાર આવ્યું. આફ્રિકામાં આવેલી 'માલામાલા ગેમ રિઝર્વ' નામની વાઈલ્ડ લાઈફ સેન્ચ્યુઅરીનો છે. સેન્ચ્યુઅરીના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ પેજ પર 11 ફેબ્રુઆરીના રોજ આ જ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે.
![ચીફ વાઈલ્ડલાઈફ વોર્ડન શ્યામલ ટીકાદાર દ્વારા લખવામાં આવેલું માફીપત્ર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11848419_img-2.jpg)
જવાબદાર અધિકારીએ લખ્યું માફીનામું, અગ્ર સચિવે ખેદ વ્યક્ત કર્યો
ડૉ. રાજીવ ગુપ્તાને આ વીડિયો રાજ્યના ચીફ વાઈલ્ડલાઈફ વોર્ડન શ્યામલ ટીકાદાર દ્વારા મોકલવામાં આવ્યો હતો અને જેમણે આ વીડિયો ખોટો હોવાની પુષ્ટી થતા માફીપત્ર લખી આપ્યું હતું, જેને વન વિભાગના અગ્ર સચિવ ડૉ. રાજીવ ગુપ્તાએ ટ્વિટર પર શેર કરીને ખેદ વ્યક્ત કર્યો હતો.
![ગીરમાં 18 સિંહ ગુમ થવા અંગે જૂનાગઢના મુખ્ય વન સંરક્ષક ડૉ. દુષ્યંત વસાવડા દ્વારા કરાયેલી સ્પષ્ટતા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11848419_img-1.jpg)
ગીરમાં 18 સિંહ ગુમ થયા હોવાની ખોટી માહિતી પ્રસરી હતી
તૌકતે વાવાઝોડાની અસર દરમિયાન ગીરમાંથી 18 સિંહો ગુમ થયા હોવાના અહેવાલો વિવિધ સમાચાર માધ્યમોમાં પ્રકાશિત થયા હતા. જ્યારબાદ જૂનાગઢના મુખ્ય વન સંરક્ષક ડૉ. દુષ્યંત વસાવડાએ રદિયો આપ્યો હતો અને ગીરના તમામ સિંહો સુરક્ષિત હોવાની માહિતી આપી હતી. જ્યારબાદ વન વિભાગના અગ્ર સચિવ ડૉ. રાજીવ ગુપ્તાએ જળપ્રવાહ પાર કરતા સિંહના ટોળાનો ખોટો વીડિયો શેર કર્યો હતો.
અગાઉ પણ એક IAS અધિકારીની ટ્વિટ પરથી ખેદ જનક જાણકારી વહેતી થઈ હતી
માર્ચ મહિનાના અંતમાં IAS અધિકારી સુપ્રિયા સાહુએ ટ્વિટ કરીને બિહારમાં મોંઘીદાટ શાકભાજી 'હોપ શૂટ્સ'ની ખેતી થતી હોવાનો દાવો કર્યો હતો. જે સોશિયલ મીડિયા સહિત વિવિધ સમાચાર માધ્યમોમાં પ્રકાશિત થયો હતો. જોકે, તેની પણ તપાસ કરવામાં આવતા આ પ્રકારની કોઈ ખેતી ન થતી હોવાનું સામે આવ્યું હતું.