- આજે લાભ પાંચમનો શુભ દિવસ
- વેપારીઓએ દુકાનો અને ધંધાનું મુહૂર્ત કર્યું
- ગુજરાતીઓ હંમેશા ધંધામાં આગળ રહ્યા છે
ભાવનગરઃ કારતક માસ સવંત 2077ના નવા વર્ષના વેપારનો આજથી એટલે કારતક સુદ પાંચમના દિવસથી પ્રારંભ કરવામાં આવ્યો છે. શહેરમાં અનેક દુકાનોમાં તોરણ અને ફૂલહાર કરી શુભ ચોઘડિયામાં વેપારનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આવનારા વર્ષના દરેક દિવસમાં સારો વેપાર થાય તેવા હેતુથી લાભ પાંચમના દિવસે વેપાર ધંધા ખોલવામાં આવતા હોય છે અને નવા વર્ષમાં બજારો ધમધમતી હોય છે.
ગુજરાતીઓના નવા વર્ષના પ્રારંભ બાદ વેપાર ધંધા માટે આજે લાભ પાંચમનું મુહૂર્ત શ્રેષ્ઠ માનવામાં આવે છે, ત્યારે ભાવનગરમાં પણ દિવાળીના તહેવાર બાદ સવારથી વેપારીઓએ લાભ પાંચમનું મુહૂર્ત કરી ધંધા રોજગાર શરૂ કર્યા હતા.


ભાવનગરના મોટા વિક્રેતા ખાદ્ય તેલના વેપારી દ્વારા લાભ પાંચમનું મુહૂર્ત કરવામાં આવ્યું હતું. સવારમાં ગ્રાહકોની લાઈનો લાગી ગઈ હતી. સારા મુહૂર્તમાં અને ચોઘડિયામાં દુકાનનો વેપાર શરૂ કરવાની પૌરાણિક પ્રથાને આધૂનિક યુગમાં પણ જાળવી રાખવામાં આવી છે. વેપારીઓ દ્વારા હંમેશા હિન્દૂ ધર્મના રીત રિવાજો અને ધાર્મિક પરપંરાને જાળવવામાં ભાવેણાવાસીઓ અગ્રેસર રહ્યા છે.