હવામાન વિભાગ દ્વારા હજુ વધારે વરસાદની આગાહીને પગલે ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા 12 કલાકથી પડી રહેલા વરસાદનાં કારણે જિલ્લાનાં ડેમોમાં પાણીની આવકમાં પુષ્કળ વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે ભાવનગર શહેરનાં ગૌરીશંકર તળાવમાં વરસાદનાં કારણે પાણીની સારી આવક થતા ડેમની સપાટી 40.10 ફૂટ પહોંચી છે. ગૌરીશંકર તળાવ (બોરતળાવ)ની કુલ સપાટી 43 ફૂટ હોય તેમજ હાલની સપાટી 40.10 પહોંચતા ઓવરફ્લો થવામાં માત્ર 3 ફૂટ બાકી હોય તંત્ર દ્વારા સાવચેતીના પગલાં ભરવામાં આવી રહ્યા છે.
ઉપરવાસમાં આવેલ ભીકડા ડેમમાંથી થઈ રહેલી પાણીની પુષ્કળ આવકથી ગૌરીશંકર તળાવ (બોરતળાવ) ઓવરફ્લો થવાની પુરી સંભાવના સેવાઇ રહી છે. અગાઉ વર્ષ ૨૦૧૩માં ગૌરીશંકર તળાવ (બોરતળાવ) ઓવરફ્લો થયો હતો અને આજે જયારે ફરી ૨૦૧૯માં ગૌરીશંકર તળાવ (બોરતળાવ) ઓવરફ્લો થવા જઈ રહ્યો છે, ત્યારે આ ગૌરીશંકર તળાવ (બોરતળાવ) ઓવરફ્લો થશે, ત્યારે આ વિસ્તારનાં લોકો દ્વારા તળાવ પર દીપ પ્રગટાવીને તેના વધામણા કરવામાં આવશે.
તંત્ર દ્વારા ગૌરીશંકર સરોવર (બોરતળાવ) સહીતનાં તળાવો પર ચાપતો પોલીસ બંદોબસ્ત, ડિઝાસ્ટર તેમજ ફાયર વિભાગોને સાવચેત રહેવા જરૂરી સૂચનાઓ ભાવનગર કલેકટર દ્વારા આપી દેવામાં આવી છે અને ગૌરીશંકર સરોવર (બોરતળાવ) ઓવરફલો થશે તો નીચાણવાળા વિસ્તારમાંથી લોકોનું સરકારી શાળાઓમાં સ્થળાંતર કરાવવામાં આવશે. તેમજ આજે સાંજ થી આ વિસ્તારોમાં લોકોને સાવચેત રહેવા વિવિધ માધ્યમો દ્વારા સૂચનાઓ આપવામાં આવશે.