- ભગવાન જગન્નાથની 144 મી રથયાત્રા
- સરસપુર મોસાળમાં અત્યારે છે ભગવાન
- એક સમયે રતનપોળમાંથી પસાર થતી હતી રથયાત્રા
અમદાવાદ : કોરોના સંક્રમણને કારણે ગયા વર્ષે રથયાત્રા નીકળી શકી નહોતી. ચાલુ વર્ષે રથયાત્રાને લઈને અસમંજસ છે ત્યારે અત્યારે ભગવાન જગન્નાથ અત્યારે પોતાના મોસાળ સરસપુરમાં છે. આ પ્રથા કેવી રીતે શરૂ થઈ ? મોસાળમાં લોકો ભગવાનને કેવી રીતે લાડ લડાવે છે ? રથયાત્રાની 144 વર્ષની પરંપરાને જોતા એ જાણવું ખૂબ જ રસપ્રદ છે.
સરસપુરમાં રથયાત્રાના દિવસે કીડીયારુ ઉભરાય છે
રથયાત્રામાં રથ ખેંચનાર ખલાસીઓ અને સાથે ચાલનાર ભક્તોને સરસપુરમાં વિરામ, ભોજન અને તરો-તાજા થવાનો સમય પણ મળી રહે છે. સાથે જ સરસપુરમાં મામેરાની પ્રથા પણ શરૃ થઈ. એક સમયે રથયાત્રા રતનપોળમાંથી પસાર થતી હતી, પરંતુ સાંકડો રસ્તો હોવાથી તે બદલવો પડયો. ત્યારબાદ તે માણેક ચોક રોડ ઉપર થઈને કોર્પોરેશન થઈ નિજમંદિર પરત પહોંચે છે.
શું છે સરસપુરમાં પરિસ્થિતિ ?
રથયાત્રા પહેલા જળયાત્રા યોજાય છે. ત્યારબાદ ભગવાનનો અભિષેક થાય છે. ત્યારબાદ તેઓ પંદર દિવસ સુધી ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે મોસાળ સરસપુર રહેવા જાય છે. જ્યાં તેમને સરસપુર વાસીઓ દ્વારા ધૂમધામથી આવકારવામાં આવે છે. ભગવાનને મોસાળું અર્પણ કરવા માટે ભક્તોનું વેઇટિંગ લિસ્ટ ચાલી રહ્યું છે. હાલમાં 40 વર્ષનું વેઇટિંગ લિસ્ટ છે. ચાલુ વર્ષે અમદાવાદના સેટેલાઈટમાં રહેતા મહેશ ઠાકોરને મોસાળુ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. ગયા વખતે અમદાવાદના શાહીબાગમાં રહેતા કાનજી પટેલને આ સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. 2020માં કોરોના સંક્રમણને કારણે હાઈકોર્ટે રથયાત્રા ન નિકાળવા આદેશ આપ્યો હતો.
છેલ્લા મોસાળામાં શુ હતું ?
2019 માં ભક્તોને મોસાળુ જોવાનો લાભ લીધો હતો. જેમાં ભગવાનને 1.5 કિલોનો સોનાનો ઢોળ ચડાવેલ હાર, ત્રણ વીંટી, ત્રણ દોરા અને કપડા જેવી વસ્તુઓનો અર્પણ કરાઈ હતી. તે વખતે ભગવાનના મોસાળમાં રણછોડરાયજી મંદિરે ઘણી ભીડ પણ જોવા મળી હતી. જો કે ચાલુ વર્ષે કોરોનાને લઈને મોસાળુ ફિક્કું લાગી રહ્યું છે. આખો દિવસ ભક્તોની ભીડથી ધમધમતું રહેતું મંદિર હવે બપોરના સમયે બંધ થાય છે. ભજન મંડળીઓ પણ નથી કે ભક્તો પણ નથી.