સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ, કલેક્ટર તથા ડેપ્યુટી કલેક્ટર નર્મદા જિલ્લા સામે અરજદાર અર્જુનસિંહ સોલંકી અને સહદેવસિંહ સોલંકી દ્વારા પિટિશન દાખલ કરવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, હાલમાં જે જગ્યા ઉપર અમે એક પ્રતિમા હોટલ નામે એક ઢાબુ ચલાવી રહ્યા છીએ. આ જગ્યા તેમના પિતા રમેશભાઈ સોલંકીને 1979માં લીઝ પર આપવામાં આવી હતી. પિતા બાદ તેમના દ્વારા સમયસર ભાડું ભરવામાં આવ્યું છે.
આ જગ્યાએ કાયદેસરનું લાઈટ કનેક્શન લઈને તેનું નિયમિત સમયસર બીલ ભરીએ છીએ અને જરું તમામ લાઇસન્સ અને પરવાનગીઓ મેળવેલી છે. નિયમિત અને સમયસર તમામ ટેક્સ પણ ભરીએ છીએ. વૈકલ્પિક જગ્યા ફાળવાની માંગ સાથે દાખલ કરવામાં આવેલી રિટમાં દલીલ કરવામાં આવી હતી કે, અરજદાર પાસે આવકનો એકમાત્ર સ્ત્રોત તેમની માલિકીનું ઢાબું છે અને જો એ દુર કરવામાં આવે તો રોજી-રોટી છીનવાઈ શકે છે. જેથી રાજ્ય સરકારને અન્ય કોઈ વૈક્લિપક જગ્યા ફાળવવા દલીલ કરી હતી.
વૈક્લપિક જગ્યા મુદે સરકારે જવાબ રજુ કરવા સોમવાર સુધીનો સમય માંગ્યો હતો. અરજદારે પિટિશનમાં જણાવ્યું હતું કે, છેલ્લા ૪૦ વર્ષથી આ જગ્યાનો કબજો ધરાવીએ છીએ અને આ એક માત્ર અમારી રોજીરોટીનું સાધન છે. અમને આ જગ્યા ખાલી કરવા માટે એક નોટિસ ઇસ્યૂ કરવામાં આવી હતી. જેની વિરુદ્ધ નીચલી કોર્ટમાં અરજી દાખલ કરી હતી તે સમયે સરકારી વકીલ દ્વારા અમને મૌખિક રીતે વૈકલ્પિક જગ્યા આપવાનો વાયદો કરવામાં આવ્યો હતો.
તેથી નીચલી અદાલતમાંથી અરજી પરત ખેંચી લીધી હતી. ત્યારબાદ સરકારે કોઇપણ પ્રકારની વૈકલ્પિક જગ્યા આપ્યા વગર એક મહિનામાં જગ્યા ખાલી કરવા નોટિસ આપતા હાઈકોર્ટના સિંગલ જજ સમક્ષ અરજી કરવામાં આવી હતી. જે ફગાવી દેતા ડબલ બેન્ચમાં રિટ કરવામાં આવી હતી.