અમદાવાદઃ ગુજરાત સરકાર દ્વારા 3 જુલાઈ 2020ના રોજ ઔદ્યોગિક વિવાદ ધારામાં વટહુકમ બહાર પાડીને સુધારો કરવામાં આવ્યો છે. જે અંતર્ગત 300 કે તેથી ઓછા કામદારો ધરાવતા ઔદ્યોગિક એકમને બંધ કરવા માટે હવે સરકારની મંજૂરી લેવી પડશે નહીં. આ પહેલાં આ કાયદા અંતર્ગત 99થી વધુ મજૂરો વાળા ઔદ્યોગિક એકમને બંધ કરવા માટે સરકારની મંજૂરી લેવી પડતી હતી. જેથી હવે ઉદ્યોગકારોને જૂના એકમો બંધ કરવા કે નવા ઔદ્યોગિક સાહસ ખેડવા ફેક્ટરી કાયદાઓ અને સરકારી બાબુઓની આંટી-ઘૂંટીમાંથી પસાર થવું પડશે નહીં, જ્યારે બીજી તરફ મજૂરોની નોકરી સંકટમાં પડી છે.
ઉલ્લેખનીય છે કે, આ ઔદ્યોગિક વિવાદ ધારો 1947નો કાયદો છે. એટલે સમયની સાથે તેમાં ફેરફાર કરવા પણ જરૂરી બને છે. આ સુધારાને લઈને જુદા-જુદા નિષ્ણાંતો દ્વારા જુદા-જુદા મત રજૂ કરવામાં આવ્યા છે. સૌપ્રથમ મજૂર લક્ષી નિષ્ણાતોએ જણાવ્યું છે કે, એક લોકશાહી દેશમાં જ્યાં ભારતના બંધારણના આમુખમાં સમાજવાદ શબ્દનો ઉપયોગ થયો હોય, ત્યાં સરકારે મજૂરોના હિતોનું વિચારવું જોઈએ, પરંતુ સરકાર અત્યારે મૂડીપતિઓથી દબાયેલા હોય તેવું લાગી રહ્યું છે. આવા કાયદાઓને કારણે ફેક્ટરી માલિકો સાથે મજૂરોનો સંઘર્ષ વધશે. કારણ કે, ફેક્ટરી માલિકો મજૂરોને ગમે ત્યારે છુટા કરી શકશે. જેથી રોજગાર લઈને પ્રશ્નો વધશે. આ કાયદાઓ અંગ્રેજોના જમાનાના ચોક્કસ છે, પરંતુ આ કાયદાઓના મૂળ આપણા રાષ્ટ્રીય આંદોલન સાથે જોડાયેલા છે. કોરોનાના સમયે વિધાનસભાનું સત્ર ન મળવાથી રાજ્યપાલ દ્વારા વટહુકમ બહાર પાડીને આ કાયદા બદલી દેવા સરકારની મેલી મનશા દર્શાવે છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં 60- 70 ટકા ફેક્ટરી એવી છે કે, જેમાં 300થી ઓછા મજૂરો કાર્ય કરે છે. જેને લઈને મજૂરો પર રોજગારીને સુરક્ષાને લઇને પ્રશ્નો સર્જાયા છે, ત્યારે 9 જુલાઈથી કેન્દ્રીય મજૂર સંગઠન અને અન્ય મજૂર સંગઠનો દ્વારા આ વટહુકમના વિરોધમાં પ્રદર્શન પણ કરવામાં આવ્યું છે. જે 9 ઓગસ્ટ સુધી ચાલશે.
સામે પક્ષે કેટલાક નિષ્ણાતોનું કહેવું છે કે, આ સુધારાને કારણે કોઈપણ પ્રકારની નકારાત્મક અસર થશે નહીં. એક તરફ જ્યારે કોરોના વાઇરસને લઈને ફેક્ટરી 2 મહિના બંધ રહી છે, ત્યારે તેમના ઓપરેટિંગ ખર્ચ, મજૂરોના પગારના ખર્ચ વગેરેને લઈને કંપનીના ખર્ચા વધ્યા છે. સામે પક્ષે કોઈ આવક નથી. જેથી જો કોઈ ઉદ્યોગકાર નવું સાહસ ખેડવા માગે તો તેને કાયદાનો ડર બતાવીને રોકી શકાય નહીં. આમ પણ આ કાયદા મુજબ મજૂરોને/નોકરિયાતોને 3 મહિનાનું વેતન આપીને છૂટા કરવાની જોગવાઈ છે, ત્યારે તેમને કોઇ અન્યાય થતો હોય તેવું પ્રથમ દૃષ્ટિએ દેખાતું નથી.
ઔધોગિક વિકાસ ધારાના ચેપ્ટર 5B અંતર્ગત કંપની બંધ કરવાના પ્રોવિઝન આપેલા છે. જેની મર્યાદા વધારીને 300 કરાઈ છે. આ ઉપરાંત રજિસ્ટ્રેશનમાં પણ એમેન્ડમેન્ટ કરવામાં આવ્યું છે. જે મુજબ જ્યાં પાવરનો વપરાશ થતો ન હોય તેવી જગ્યાએ મજૂરોની મર્યાદા 20ની જગ્યાએ 40 કરાઈ છે અને પાવરનો વપરાશ થતો હોય ત્યાં 10થી વધારીને 20ની સંખ્યા નિર્ધારિત કરવામાં આવી છે.
કેટલાક નિષ્ણાંતોનું એમ પણ માનવું છે કે, જ્યારે ઉદ્યોગકારો મજૂર કાયદાના ડર વગર પ્રોડક્શન કરશે, ત્યારે નવી રોજગારીનું સર્જન થશે. યુનિયનબાજી ખતમ થશે. ઇન્સ્પેક્ટર રાજ ખતમ કરવાની સરકારની મનસા આ સુધારથી જાહેર થઇ છે. ખરેખર કોરોના વાઇરસના કારણે જે આર્થિક વૃદ્ધિદર નીચે જઇ રહ્યો છે, તેને ઇન્ડસ્ટ્રીઝના આ સુધારથી બુસ્ટર મળશે અને સરકારના કાર્યમાં પણ ઘટાડો થશે.
આ તમામમાં એ વાત સ્પષ્ટ છે કે, આ હાયર અને ફાયરની નિતી છે. જેમાં કામદારોનો 'યુઝ ઍન્ડ થ્રો'ની જેમ ઉપયોગ કરવામાં આવશે.પહેલા પણ મજૂરોની વાત સાંભળવામાં આવતી ન હતી નહીં અને હવે આ વટહુકમ દ્વારા કાયદાની કલમ બુઠ્ઠી કરી નાખવામાં આવી છે.આ વટહુકમથી કામદારોને મળતા બેનીફીટ અને વેલફેરમાં પણ ઘટાડો થશે.