- ગુજરાતની તમામ નગરપાલિકામાં આમ આદમી પાર્ટી કરશે ઉમેદવારી
- પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાની ETV Bharat સાથે ખાસ મુલાકાત
- દિલ્હીના સફળ મોડલને અપનાવી, ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત બનાવીશું
અમદાવાદ- આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ ETV Bharat ના બ્યૂરો ચીફ ભરત પંચાલને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે, મહાનગરપાલિકાની ચૂંટણી લડવા માટે આમ આદમી પાર્ટીએ સંગઠનની નવી રચના કરી છે, ચૂંટણી માટે તમામ તૈયારીઓ પુરજોશમાં શરૂ કરી દીધી છે. ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત બનાવવાની નેમ સાથે દિલ્હી મોડલને પ્રજા સમક્ષ મુકીને અમલ કરાવીશું.
પ્રશ્ન-1 કોર્પોરેશનની ચૂંટણીઓ આવી રહી છે, ફેબ્રુઆરીમાં ચૂંટણી યોજાશે, કોરોનાને કારણે સમય ખૂબ ઓછો રહ્યો છે, તો આપે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે, તો આમ આદમી પાર્ટીની શું તૈયારીઓ છે?
જવાબ- અમે ચૂંટણી લડવા માટે સંગઠનની રચના અને વિસ્તૃત કરવા પર વધુ ભાર આપ્યો છે. જેમાં 24 ડિસેમ્બરે જ પ્રદેશ સંગઠનની નિમણૂંક કરી છે. હવે અમે ઉમેદવારના નામ નક્કી કર્યા છે, તે કન્ફર્મ ઉમેદવારના નામ ટૂંક જ સમયમાં જાહેર કરીશું. કદાચ સૌથી પહેલી યાદી અમે જ જાહેર કરીશું. જેથી તે ઉમેદવાર જે તે વિસ્તારના ગ્રાઉન્ડમાં ઉતરીને કાર્ય કરી શકે. અમારી નુક્કડ સભાઓ ચાલુ છે, જેમાં અમો ગલીગલીએ જઈને સોસાયટી સોસાયટીઓમાં જઈને આમ આદમી પાર્ટી શું છે, તે કેવા કામ કરે છે, તે અંગે માહિતી આપી રહ્યા છીએ. અમારો ડોર ટુ ડોર ઝુંબેશ ચાલુ છે.
પ્રશ્ન-2 તમે નિયુક્તિ કરી, તૈયારીઓ શરૂ કરી દીધી છે, પણ તમે પ્રજા સમક્ષ કયા મુદ્દા લઈને જશો, કે જેનાથી ગુજરાતની જનતા તમને મત આપે? કારણ કે નગરપાલિકામાં સ્થાનિક પ્રશ્નો અને મુદ્દા વધારે હોય છે, તો સ્થાનિક સમસ્યા પણ વધુ હોય છે, તો આપ કેવી રીતે અને કયા મુદ્દા પર પ્રચાર કરશો?
જવાબ- નગર નિગમની ચૂંટણી છે. નગરનો અર્થ છે નળ, ગટર અને રોડ… આ ત્રણ સમસ્યા દૂર કરવાની છે. આ ત્રણ મુળભુત જરૂરિયાત પુરી પાડવાની જેની જવાબદારી છે, તે નગરપાલિકા કે મહાનગરપાલિકા છે દિલ્હીમાં અરવિંદ કેજરીવાલે જે કામ કર્યું છે, તે મુળભુત જરૂરિયાતોને લક્ષ્યમાં રાખીને જ કામ કર્યું છે. જેમાં શિક્ષણ, સ્વાસ્થ્ય, રોડ રસ્તા, સ્વચ્છતા અને વીજળી છે. આ બધા મુદ્દે સરસ કામ થયું છે. આ જ મુદ્દાને આગળ લઈને અમે ગુજરાતમાં દિલ્હી મોડલ અપનાવીશું. આપ જુઓ છો કે, ગુજરાતમાં તમામ નગરપાલિકાઓ ભ્રષ્ટાચારના અડ્ડા બની ગયા છે. સમગ્ર ગુજરાતની હાલત આવી છે, એક કે બે વ્યક્તિ જ કોર્પોરેશન ચલાવે છે. પેઢીની જેમ ચાલે છે. નગરપાલિકાઓ પબ્લિકના ખિસ્સા કાપવા માટે છે અને મહાનગરપાલિકાઓ ભ્રષ્ટાચાર કરવા માટે છે. આપણે અમદાવાદની જ વાત કરીએ તો દર ચોમાસે રોડ તૂટી જાય છે, ભૂવા પડે છે, બધુ અંદર પડે છે, કેટલાય લોકોના જીવ ગયા છે. રોડ એક જ વખત બનવો જોઈએ, અને તે પાંચ વર્ષ તો ચાલવો જ જોઈએ. સરકારી શાળાઓ ધ્વસ્ત થઈ ગઈ છે. કેટલીય શાળાઓ ખંડેર થઈ ગઈ છે. સરકારી દવાખાનામાં જાવ તો તમે પાછા ન આવો… રામ બોલો ભાઈ રામ થઈ જાય. આમ આદમી પાર્ટીએ આવા જ બધા કામ કર્યા છે. જે પ્રજાલક્ષી હોય. મોડલ કરીને બતાવ્યું છે.
પ્રશ્ન-3 ગુજરાતમાં વર્ષોથી ભાજપનું શાસન ચાલે છે. દિલ્હી મોડલ ગુજરાતમાં કેટલું સફળ થશે?
જવાબ- દિલ્હી મોડલ એ કોઈ એક રાજ્યનું મોડલ નથી, તે દેશનું મોડલ બની ચુક્યું છે. દિલ્હી માઈગ્રેન્ટ સ્ટેટ છે. બીજા રાજ્યોમાંથી આવેલા દિલ્હીમાં રહે છે. તેમણે આ મોડલ સ્વીકાર્યું છે. નેશનલ કેપિટલ દિલ્હીમાં મોડલ સફળ છે, તો ગુજરાત શામાટે ન સ્વીકારે મને વિશ્વાસ છે કે ગુજરાતના લોકોમાં દિલ્હી મોડલ વધુ સરસ રીતે અમલી બનશે. ગુજરાત તો ઈચ્છી રહ્યું છે કે આ વસ્તુ ત્યાં પાંચ વર્ષમાં સફળ થાય તો બીજી સરકારો વર્ષોથી કરે છે શું? એટલે ચાલવાનું જ છે.
પ્રશ્ન-4 દિલ્હીમાં ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે. આપ શું કહેશો?
જવાબ- આ આંદોલનમાં સરકાર બિલકુલ ખોટી છે. અને ત્રણ કાયદા બનાવ્યા છે. ખેડૂતોની માંગણી વાજબી છે, અને તે યોગ્ય છે. સરકાર અહંકારમાં આવી ગઈ છે અને જ્યારે દેશના ખેડૂતો માઈનસ ડિગ્રી ઠંડીમાં આંદોલન કરી રહ્યા છે, તેમની સાથે ચર્ચા કરવાને બદલે તેઓ આતંકવાદી છે, ખાલીસ્તાની છે, તે ખોટું છે.
પ્રશ્ન-5 આમ આદમી પાર્ટી ખેડૂતો મુદ્દે કેન્દ્ર સરકાર પાસે શું ઈચ્છી રહી છે?
જવાબ- કિસાન આંદોલન મુદ્દે આમ આદમી પાર્ટીનું બહુ જ સ્પષ્ટ સ્ટેન્ડ છે. એવું નથી કે ખેડૂતો રોડ પર આંદોલન કરવા આવ્યા પછી આપ વિરોધમાં જોડાયું. જ્યારે કેન્દ્ર સરકારે કાયદો બનાવ્યો ત્યારથી જ આમ આદમી પાર્ટીનો વિરોધ રહ્યો હતો. બિલ હતું ત્યારે રાજ્યસભાના સાંસદોએ વિરોધ દર્શાવ્યો હતો. કંપનીઓને બમણો નફો કરવા માટેનો કાયદો છે. ખેડૂત વિરોધી બિલ છે. ખેડૂતોને ચુસી લેવાનું બિલ છે. આ કાળા કાયદા રદ થવા જોઈએ, તે સ્પષ્ટ છે.
પ્રશ્ન-6 કોંગ્રેસનું ગુજરાતમાં સતત નબળુ પ્રદર્શન રહ્યું છે. લોકસભામાં 26માંથી 26 બેઠક પર ભાજપની જીત, હમણા પેટા ચૂંટણી થઈ તેમાં 8માંથી 8 બેઠક પર ભાજપની જીત, કોંગ્રેસ તૂટી રહી છે, તો તેનો ફાયદો આમ આદમી પાર્ટીને આવનારી ચૂંટણીમાં મળે તેવું ગણિત મુકી શકાય?
જવાબ કોંગ્રેસ તૂટે છે કે નથી તૂટતી એ અમારો વિષય જ નથી. અમારો વિષય એટલો જ છે કે, દિલ્હીમાં અમે આટલું સારુ કામ કર્યું છે, તે કામ અમે કરવા માંગીએ છીએ. નક્કી લોકોએ કરવાનું છે. આવી ચર્ચા કરવાને બદલે અમે આગામી સમયમાં શું સારુ કામ કરીશું. આ વીઝન છે, અને વીઝનના આ મુદ્દા છે, જેથી બીજી કોઈ વાત અમે કરતા નથી.
પ્રશ્ન- 7 આમ આદમી પાર્ટી વતી ગુજરાતની જનતાને શું સંદેશ આપશો?
જવાબ આમ આદમી પાર્ટી વતી હું એટલું જ કહીશ કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. અને હવે જ્યારે ગુજરાતમા પરિવર્તન લાવવા માટે આમ આદમી પાર્ટી શિક્ષિત પાર્ટી, ઈમાનદાર પાર્ટી, યુવા પાર્ટી અને દેશપ્રેમી પાર્ટી આવી ગઈ છે. ગુજરાતની જનતા મુળભૂત મુદ્દાને મત આપે છે, કામની રાજનીતિને મત આપે, શિક્ષિત અને યુવાઓને મત આપે તો ચોક્કસથી ગુજરાતની સાચા અર્થમાં પ્રગતિ થશે.
-ભરત પંચાલ બ્યુરો ચીફ, ETV BHARAT(ગુજરાત)