- રાજ્યમાં કોરોનાએ ફરી માર્યો ઉથલો
- અમદાવાદની સરકારી કચેરીમાં કોરોનાનો પગ પેસારો
- દિવાળીના તહેવારમાં પણ લોકોમાં કોરોના સંક્રમણનો ભય
અમદાવાદઃ રાજ્યમાં કોરોના સંક્રમણના આંકડામાં વધારો થઈ રહ્યો છે. થોડા સમય પહેલા રાજ્યમાં દિવસ દરમિયાન કોરોના કેસના આંકડા હજારથી નીચે આવી રહ્યા હતા, તો હવે કોરોનાએ ફરી વાર ઉથલો માર્યો હોય એમ દિવસ દરમિયાનના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. તો હાલ દિવાળીના તહેવાર દરમિયાન લોકોમાં ફરીથી કોરોના સંક્રમણનો ડર જોવા મળી રહ્યો છે. તો હાલ શહેરમાં કોરોનાના આંકડા વધતા જોવા મળી રહ્યા છે. ત્યારે શહેરની સરકારી કચેરીઓ એટલે કે કોર્પોરેશન ઓફિસ, પોલીસ સ્ટેશન સહિતના સરકારી કર્મચારીઓના પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવી રહ્યા છે. જેના કારણે અન્ય કર્મચારીઓમાં પણ ભયનો માહોલ રહ્યો છે.
AMC ઓફિસમાં કુલ 20 કર્મચારી સંક્રમણનો ભોગ
શહેરમાં કોરોના સંક્રમણ નિયંત્રણમાં હોય એવા આંકડા સામે આવી રહ્યા છે, પરંતુ કોરોના હવે સરકારી ઓફિસોમાં વકરી રહ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ પોલીસ કર્મચારીઓમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. એક તરફ કોર્પોરેશનની કચેરીના અલગ અલગ વિભાગોમાં કામ કરતા 20થી વધુ કર્મચારીઓ કોરોના સંક્રમણના ભોગ બન્યા છે. તો પોલીસ વિભાગમાં પણ કોરોનાનું સંક્રમણ વધી રહ્યુ છે.
કચેરીમાં સંક્રમણ વધતા અન્ય કર્મચારીઓમાં ફફડાટ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની દાણાપીઠ ઓફિસમાં કોરોના ફેલાયો છે. સેન્ટ્રલ રેકોર્ડ ખાતામાં ફરજ બજાવતા એક કર્મચારીનું કોરોનાથી મોત થયું છે. AMC ઓફિસમાં કુલ 20 જેટલા કર્મચારીઓ કોરોના સંક્રમણનો ભોગ બન્યા છે, આથી અન્ય કર્મચારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે.