અમદાવાદ: શાહીબાગ વિસ્તારમાં રહેતા ઉષાબેન પટણીની 8 મહિનાની દિકરી ઋષિકાને જન્મજાત જીભમાં લોહીની ગાંઠ હતી જેને કારણે તેને ખાવાપીવાની તકલીફ ઉદ્ભવી રહી હતી. ઉષાબેનના પતિ રિક્ષા ચલાવીને ઘરનું ગુજરાન ચલાવે છે. તેમની પણ કેન્સરની સારવાર ચાલી રહી છે.
![અમદાવાદ સિવિલના તબીબો દ્વારા 8 મહિનાની બાળકી પર સર્જરી કરી જીભમાં લોહીની ગાંઠ દૂર કરવામાં આવી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/09:06:14:1595000174_gj-ahd-25-civil-7207084_17072020190814_1707f_1594993094_1090.jpg)
![અમદાવાદ સિવિલના તબીબો દ્વારા 8 મહિનાની બાળકી પર સર્જરી કરી જીભમાં લોહીની ગાંઠ દૂર કરવામાં આવી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/09:06:14:1595000174_gj-ahd-25-civil-7207084_17072020190814_1707f_1594993094_211.jpg)
![અમદાવાદ સિવિલના તબીબો દ્વારા 8 મહિનાની બાળકી પર સર્જરી કરી જીભમાં લોહીની ગાંઠ દૂર કરવામાં આવી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/09:06:13:1595000173_gj-ahd-25-civil-7207084_17072020190814_1707f_1594993094_994.jpg)
આમ બંને બાજુ તકલીફોથી ઘેરાયેલા ઉષાબેનને સિવિલ હોસ્પિટલના પીડીયાટ્રીક વિભાગના તબીબોએ તેમની દીકરીની તકલીફમાંથી છુટકારો અપાવ્યો છે.
ઋષિકાને જીભ પર અસામાન્ય સોજો આવવાને કારણે ઉષાબેન પટણી સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક સર્જરી વિભાગના તબીબોને બતાવવા આવ્યા. તબીબી તપાસ દરમિયાન બાળકીને હેમાંજિઓમા એટલે કે જીભમાં લોહીની ગાંઠ હોવાનું જાણવા મળ્યુ. આ ગાંઠનું ચોક્કસ કદ અને તેનું વિસ્તરણ જોવા માટે MRI પણ કરાવવામાં આવતા જટિલતાની પૃષ્ટી થઇ. ઘણી વખત બાળકોની શારીરિક વૃધ્ધિ થતા હેમાંજિઓમાના કદમાં એની મેળે જ ઘટાડો થતો જોવા મળે છે. કેટલીક દવાઓ આ પ્રક્રિયાને વેગ આપવા માટે મદદ કરે છે. પરંતુ ઋષિકા માટે આ દવાઓ દ્વારા સારવાર અસરકારક નિવડી રહી ન હતી.
સમય જતા ઋષિકાના મોંઢામાં પડેલો સોજો બહાર નિકળી આવતા તે મોંઢું બંધ કરવા અસમર્થ બની. ભારે સોજો હોવાના કારણે સ્તનપાન અને ખોરાક લેવામાં પણ તે મુશ્કેલી અનુભવી રહી હતી. આ તમામ ગંભીરતાઓ ધ્યાને લેતા 8 મહિનાની ઋષિકાની સર્જરી કરવાનું નક્કી કરવામાં આવ્યુ.
સિવિલના બાળરોગ સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોશી અને તેમની ટીમ દ્વારા ઋષિકાની સર્જરી હાથ ધરવામાં આવી હતી. આ સર્જરીની જટિલતા સમજાવતા તેઓ કહે છે કે હેમાંજિઓમા મૂળ રક્ત વાહિનીઓનું એક ભાગ છે અને દર્દીને શસ્ત્રક્રિયા દરમિયાન રક્તસ્રાવ થવાની સંભાવના વધારે હોય છે. ઉપરાંત એનેસ્થેસિયાના સંચાલન માટે પણ કુશળતા ખૂબ જ જરૂરી હોય છે કારણ કે મોઢા પર મોટો સોજો આવે ત્યારે શ્વાસની નળી નાખવી મુશ્કેલ બની રહે છે. જ્યાં સુધી તેની જીભ ઉપરનો ઘા મટી ન જાય ત્યાં સુધી થોડા દિવસો બાળકને તેના નાકમાંથી નાખેલી નળી દ્વારા ખવડાવવામાં આવે છે. આમ આ તમામ જટિલતાઓ વચ્ચે ઋષિકાની સફળતા પૂર્વક સર્જરી કરવામાં આવી છે. હવે ઋષિકા સરળતાથી સ્તનપાન કરવા સક્ષમ બની છે.
હેમાંજિઓમાં રુધિરવાહિનીઓની એક નસ હોય છે. તે બાળપણથી એક સામાન્ય ગાંઠ છે, જે રક્ત વાહિનીઓની અસામાન્ય રચનાને કારણે થાય છે, પરંતુ સામાન્ય રીતે શરીરના અન્ય ભાગોમાં પણ થાય છે. મોટાભાગના બાળકોને જન્મ સમયે જ મટી જતાં હોય છે. ખૂબ જ ઓછા દર્દીઓને આ સ્થિતિ માટે સર્જરીની જરૂર પડતી હોય છે. જીભનું હેમાંજિઓમાં ખૂબ જ દુર્લભ છે અને તેને દૂર કરવા સામાન્ય રીતે શસ્ત્રક્રિયાની જરૂર પડે છે.