- વડાપ્રધાન નરેન્દ્ર મોદી શાસનમાં ટેક્નોલોજીને અપનાવવાના પ્રબળ સમર્થક
- સચિવની અધ્યક્ષતામાં એક ઉચ્ચ-સ્તરીય આંતર-મંત્રાલય સમિતિ બનાવવામાં આવી હતી
- સરકાર હજુ પણ ક્રિપ્ટોકરન્સીઝ અંગે પોતાનો અભિપ્રાય ઘડી રહી છે
નવી દિલ્હી: કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે શનિવારે કહ્યું હતું કે, સરકાર શાસન સુધારવા માટે ક્રિપ્ટોકરન્સી સહિત નવી ટેક્નોલોજીઓના મૂલ્યાંકન માટે તૈયાર છે. નાણાં રાજ્ય પ્રધાને ઉદ્યોગસાહસિક સંગઠન-ઇઓ પંજાબ દ્વારા આયોજીત એક કાર્યક્રમને સંબોધન કરતાં કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ શાસનના વિવિધ પાસાઓમાં ટેકનોલોજીને અપનાવવાના પ્રબળ સમર્થક છે.
આગામી દિવસોમાં સરકાર તરફથી લેવાશે નિર્ણય
ડિજિટલ કરન્સી અંગે આર્થિક બાબતોના સચિવની અધ્યક્ષતામાં એક ઉચ્ચ-સ્તરીય આંતર-મંત્રાલય સમિતિ (IMC)ની રચના કરવામાં આવી હતી અને તેનો અહેવાલ રજૂ કર્યો છે. સરકાર IMCની ભલામણો અને કાયદાકીય પ્રસ્તાવ અંગે પણ નિર્ણય લેશે અને આ પ્રક્રિયા પછી સંસદમાં રજૂ કરવામાં આવશે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે શુક્રવારે કહ્યું હતું કે, સરકાર હજુ પણ ક્રિપ્ટોકરન્સીઝ અંગે પોતાનો અભિપ્રાય ઘડી રહી છે અને તે અંગે આગામી દિવસોમાં નિર્ણય લેશે.