નવી દિલ્હી: સુનંદા પુષ્કર મૃત્યુ કેસના આરોપી અને કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં અરજી કરી છે, જેમાં તેમણે સુનંદા પુષ્કરના ટ્વીટરના ખાતાને સુરક્ષિત રાખવા માગ કરી છે. કોર્ટે શશી થરૂરની અરજી પર સુનાવણી કરતાં દિલ્હી પોલીસને નોટીસ પાઠવી છે. કોર્ટે દિલ્હી પોલીસને 20 માર્ચ સુધીમાં જવાબ આપવા માટે નિર્દેશ કર્યા છે.
છેલ્લી 30 જાન્યુઆરીએ કોર્ટે શશિ થરૂરના સુનંદા પુષ્કર દ્વારા કરવામાં આવેલા ટ્વીટને રેર્કોડમાં રાખવા માંગતી અરજીને નકારી હતી. વિશેષ જજ અજય કુમાર કુહરે આ આદેશ આપ્યો હતો. સુનાવણી દરમિયાન શશિ થરૂરના વકીલ વિકાસ પાહવેએ કહ્યું હતું કે, સુનંદા પુષ્કરના ટ્વીટને કોર્ટના રેકોર્ડમાં રાખવા જરૂરી છે. કારણ કે, તે ટ્વીટ કેસ માટે મહત્વપૂર્ણ છે. પરંતુ ફરીયાદી પક્ષે તેને અદાલતમાં રજૂ કર્યો નથી.
પોલીસે 14 મે 2018ના રોજ ચાર્જશીટ દાખલ કરી હતી. ચાર્જશીટમાં શશી થરૂરને આરોપી બનાવવામાં આવ્યા છે. શશી થરૂર ઉપર ભારતીય દંડ સંહિતાની કલમ 498A અને 306 હેઠળ આરોપ મૂકવામાં આવ્યો છે.
ચાર્જશીટમાં જણાવાયું છે કે, સુનંદા પુષ્કરનું મોત શશિ થરૂરની સાથે લગ્નના 3 વર્ષ, 3 મહીના અને 15 દિવસમાં થયું હતું. 22 ઓગસ્ટ 2010ના રોજ બન્નેના લગ્ન થયા હતા. 1 જાન્યુઆરી 2015ના રોજ દિલ્હી પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ 302 હેઠળ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી