નવી દિલ્હી: હાઇકોર્ટે 29 જૂનના રોજ દિલ્હીની સંસ્થામાંથી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નેશનલ લો યુનિવર્સિટીમાં પ્રવેશ માટે પચાસ ટકા અનામત આપવાના નિર્ણય પર સ્ટે આપ્યો હતો. કોર્ટે યુનિવર્સિટીને એલએલબી અને એલએલએમ પ્રવેશ માટે પહેલેથી જ જોગવાઈઓ લાગુ કરવા આદેશ આપ્યો હતો. તે પછી નેશનલ લો યુનિવર્સિટીએ પ્રવેશ માટે નવી સૂચના બહાર પાડી, જેમાં ઓબીસી અને ઇડબ્લ્યુએસ કેટેગરીને પણ અનામત નહીં આપવાની વાત કરવામાં આવી હતી.
દિલ્હી સરકારે નેશનલ લો યુનિવર્સિટીની નવા નોટિફિકેશન સામે હાઈકોર્ટમાં અરજી કરી હતી. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે યુનિવર્સિટીને ઠપકો આપતા કહ્યું હતું કે, તમે અમારા આદેશનો ખોટો અર્થ કાઢ્યો છે. અમને આશા છે કે, કાયદા (લો)ની યુનિવર્સિટીઓ કોર્ટના આદેશોનું વધુ સારી રીતે અર્થઘટન કરી શકે છે. પરંતુ તમે અમારા આદેશના પસંદ કરેલા ભાગોને આધારે જે ન કરવું જોઈએ તે તમે કર્યું છે.
સુનાવણી દરમિયાન નેશનલ લો યુનિવર્સિટીએ કહ્યું કે, તેઓએ કોર્ટના આદેશને સમજવામાં ભૂલ કરી છે. યુનિવર્સિટીએ કહ્યું કે,જો ઓબીસી અને ઇડબ્લ્યુએસ કેટેગરીમાં પણ અનામત આપવામાં આવે તો તેઓ તમામ વિદ્યાર્થીઓને હોસ્ટેલની સુવિધા આપી શકશે નહીં. યુનિવર્સિટીએ કહ્યું કે, તેઓ પ્રવેશ માટે નવી સૂચના જારી કરશે. ત્યારબાદ કોર્ટે કહ્યું કે, તમારે 13 જુલાઈ સુધીમાં નોટિફિકેશન કોર્ટમાં ફાઇલ કરવાની રહેશે.