લદ્દાખ: ભારત અને ચીનમાં વધી રહેલા તણાવ વચ્ચે આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવણેએ લદાખની મુલાકાત લીધી હતી. આ દરમિયાન નરવણે સાથે લેફ્ટનન્ટ જનરલ વાય.કે. જોશી પણ હતા. જોકે આર્મી ચીફ આગળની પોસ્ટ્સ પર ગયા ન હતા, પરંતુ તેમણે આખી પરિસ્થિતિ અંગે માહિતી મેળવી હતી.
આ જ વિસ્તારમાં તાજેતરમાં ભારત અને ચીનની સૈન્ય વચ્ચે અથડામણ થઈ હતી. આર્મી ચીફે શુક્રવારે ભારતીય સેનાની તૈયારીઓનું પણ નિરીક્ષણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, ગુરુવારે ભારતીય વિદેશ મંત્રાલયે દાવો કર્યો હતો કે, ચીન સાથે સરહદના મુદ્દે LaC નજીક ભારતને પેટ્રોલિંગ કરવામાં ચીન અવરોધે છે. આ સાથે ભારતે ચીનના ક્ષેત્રમાં ભારતીય સૈન્યની ઘૂસણખોરીને કારણે બંને દેશો વચ્ચે વધી રહેલા તણાવના ચાઇનાના આરોપોને ભારપૂર્વક પણ નકારી દીધા હતા.
વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, સરહદ પર ભારતની તમામ પ્રવૃત્તિઓ ભારતીય ક્ષેત્ર તરફ થઈ રહી છે અને નવી દિલ્હી હંમેશા સરહદ વ્યવસ્થાપન પ્રત્યે ખૂબ જવાબદાર વલણ અપનાવી રહી છે.
મંત્રાલયે એમ પણ કહ્યું હતું કે, ભારત તેની સાર્વભૌમત્વ અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે.