મેઘાલય: મેઘાલયના ગારો પર્વતોના પશ્ચિમી વિસ્તારમાં પૂરની આફતે ભારે તારાજી સર્જી છે. બ્રહ્મપુત્રા નદીમાં પૂર આવવાથી આ સંકટમાં અત્યાર સુધીમાં 5 લોકોએ તેમના જીવ ગુમાવ્યા છે અને 175 જેટલા ગામોને અસર પહોંચી છે. લાખો રહેવાસીઓને જાનમાલનું નુક્સાન થયું છે જેમાંથી મોટાભાગના તિક્રિકિલ્લા જાતિના લોકો છે.
સરકાર દ્વારા પૂરમાં જેમણે જીવ ગુમાવ્યો હોય તેમના પરિજનોને થોડેક અંશે રાહતની જાહેરાત કરવામાં આવી છે. 1,70,000 જેટલા અસરગ્રસ્તો માટે 22 રાહત કેમ્પ ઉભા કરવામાં આવ્યા છે.
વિરોધ પક્ષ નેતા મુકુલ સંગમાએ તેમના પક્ષના અન્ય નેતાઓ સાથે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. કોંગ્રેસ પ્રવક્તા ઝેનિથ સંગમાએ જણાવ્યું, "આવા સમયે સ્થાનિક તંત્ર અને સરકારની ફરજ છે કે તેઓ અસરગ્રસ્તોને સહાય કરે. અમે રાહત કેમ્પનું નિરીક્ષણ કર્યુ હતું, ત્યાં લોકો વચ્ચે સામાજિક અંતર જળવાઈ રહ્યું છે પણ તેમને જે મદદની જરૂર છે તે નથી મળી રહી. છેલ્લા બજેટ સત્રમાં મુખ્યપ્રધાન દ્વારા મદદની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ તે પછી આ મામલે કોઈ કામગીરી કરવામાં આવી નથી."
જુલાઇ મહિનામાં ભારતમાં ચોમાસાની હજુ શરૂઆત થઇ રહી છે ત્યારે આવનારા સમયમાં મેઘાલયમાં વરસાદને પગલે વધુ મુશ્કેલીઓ સર્જાય તેવી શક્યતાઓ છે.