- આસામમાં ત્રણ તબક્કામાં મતદાન યોજાશે
- ગુરુવારે યોજાશે બીજા તબક્કાનું મતદાન
- 73,44,631 મતદાર 345 ઉમેદવારનું ભવિષ્ય નક્કી કરશે
હૈદરાબાદ: 27 માર્ચે આસામમાં યોજાયેલા પહેલા તબક્કાના મતદાન બાદ 1લી એપ્રિલે બીજા ચરણનું મતદાન યોજાવા જઇ રહ્યું છે. જેના માટે 39 વિધાન સભાક્ષેત્રમાં કોવિડ-19ની ગાઇડલાઇન પ્રમાણે ચૂંટણી માટેની તૈયારીઓ કરવામાં આવી છે. બીજા તબક્કાના આ મતદાનમાં 73,44,631 મતદાર 345 ઉમેદવારનું ભવિષ્ય નક્કી કરશે. જેમાંથી 37,34,537 પુરુષ મતદાર, 36,09,959 મહિલા મતદાર અને 135 ટ્રાન્સજેન્ડર મતદાર છે. ગુરુવારે સવારે સાત વાગ્યાથી 13 જિલ્લાના 39 વિધાનસભા ક્ષેત્રના 10,592 પોલિંગ બૂથ પર મતદાન શરૂ થશે. બીજા તબક્કાના મતદાનમાં સત્તાપક્ષ ભાજપ અને વિરોધપક્ષ કોંગ્રેસ-AIUDF વચ્ચે સીધી ટક્કર જોવા મળશે.
બીજા ચરણના 345 ઉમેદવારમાં 26 મહિલાઓનો સમાવેશ
ગુરુવારે યોજાનારા આ મતદાનમાં 30 રાજકીય પક્ષના 345 ઉમેદવાર કે જેમાં 26 મહિલાઓનો સમાવેશ થાય છે તેમનું ભાવી નક્કી થશે. અલગાપુર વિધાનસભા ક્ષેત્રમાં સૌથી વધારે 19 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યાં છે જ્યારે ઉદલગુરી વિધાનસભા ક્ષેત્રમાં સૌથી ઓછા 2 ઉમેદવારે દાવેદારી નોંધાવી છે. 39 વિધાનસભા ક્ષેત્રોમાંથી 2 ક્ષેત્ર એટલે કે 5 ટકા વિસ્તાર રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં 3થી વધારે ઉમેદવારોએ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.
વધુ વાંચો: આસામ વિધાનસભા ચૂંટણી 2021 : પ્રથમ તબક્કામાં 72.14 ટકા મતદાન
37 ઉમેદવાર સામે ક્રિમિનલ કેસ છે
345 ઉમેદવારમાંથી 37(32 ટકા ) ઉમેદવારે પોતાની સામે ક્રિમિનલ કેસ હોવાનું જાહેર કર્યું છે. જ્યારે 30(9 ટકા) ઉમેદવારે ગંભીર ક્રિમિનલ કેસ હોવાનું જાહેર કર્યું છે. ભાજપના 34 ઉમેદવારમાંથી 11(32 ટકા), કોંગ્રેસના 28માંથી 5 (18 ટકા) ઉમેદવારે, AIUDFના 7 માંથી 5 (71 ટકા), આસામ ગણ પરિષદ(AGP)ના 6 માંથી 2 (33 ટકા), આસામ જાતિય પરિષદ (AJP) 19 માંથી 3(16 ટકા), AIFB, SUCI(C) અને UPPના એક એક ઉમેદવારે ગુન્હાઇત ઇતિહાસ હોવાની જાહેરાત કરી છે.
વધુ વાંચો: આસામ વિધાનસભા ચૂંટણી 2021 : પ્રથમ તબક્કામાં 72.14 ટકા મતદાન
27 માર્ચે પ્રથમ તબક્કાની ચૂંટણી યોજાઇ હતી
રાજ્યમાં સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી યોજાય તે માટે કેન્દ્ર અને રાજ્યના સશસ્ત્ર પોલીસ દળ સાથે સુરક્ષા જવાનોની કુલ 310 ટુકડીઓ તૈનાત કરવામાં આવશે. આસામમાં 27 માર્ચ, એપ્રિલ 1 અને એપ્રિલ 6ના રોજ 3 તબક્કામાં મતદાન યોજાઇ રહ્યું છે. આસામમાં 27 માર્ચે કુલ 81,09,815 મતદારે 47 વિધાનસભાના 264 ઉમેદવારોનું ભવિષ્ય નક્કી કરવા માટે પોતાના મતાધિકારનો પ્રયોગ કર્યો હતો.