ધોધમાર વરસાદમાં ઉધના રેલવે સ્ટેશન પ્લેટફોર્મ બેસી ગયું - Surat news
Published : Jul 1, 2024, 10:26 PM IST
સુરતઃ વરસી રહેલા ધોધમાર વરસાદ વચ્ચે સુરત શહેરનાં ઉધના રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ બેસી ગયું હતું. પ્લેટફોર્મ નબર 2 અને 3ની જમીન બેસી જતા મુસાફરોમાં ભય જોવા મળ્યો હતો. રેલવે વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી હતી. સુરતમાં 2 દિવસથી મેઘરાજાએ બેટિંગ શરૂ કરી દીધી છે. અવિરત વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ જવા પામ્યા હતા. આ દરમિયાન ઉધના રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર બે-ત્રણ ઉપર સ્લેબનો ભાગ બેસી જતા તંત્ર દોડતું થઈ ગયું હતું. ઘણા સ્થળે સ્લેબનો ભાગ બેસી ગયો તો ઘણા સ્થળે તિરાડ પડી જવા પામી હતી. પ્લેટફોર્મ પર નુકશાન થયું હોવાનું માલૂમ પડતાં રેલવેના અધિકારીઓ તાત્કાલિક દોડી ગયા હતા. તાત્કાલિક કોન્ટ્રાક્ટર પાસે રિપેરિંગ કામગીરી શરૂ કરાવી હતી. બે- ત્રણ નંબરના પ્લેટફોર્મ પર ટ્રેનોની અવરજવર વધુ હોવાથી પ્લેટફોર્મ બંધ કરાયું નથી. મુસાફરોની અવરજવર વચ્ચે રિપેરિંગ કામગીરીનો આરંભ કરી દેવાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, 'ઉધના રેલવે સ્ટેશનના ડેવલપમેન્ટની કામગીરી અંતર્ગત થોડા સમય અગાઉ બંને પ્લેટફોર્મ 90 દિવસ માટે બંધ કરાયા હતા.