રાજકોટ: તાજેતરમાં રાજકોટ જિલ્લાનાં ધોરાજીમાં ન્યાયતંત્ર દ્વારા વિવિધ રીતે ફેમિલી કોર્ટની ફાળવણી કરવામાં આવી છે, ત્યારે ફેમિલી કોર્ટ ફાળવી દેવાતા ઉપલેટા વકીલ મંડળે ઉપલેટા પંથકની પ્રજાના હિતને ધ્યાનમાં લઈને 01 જૂન 2024થી અચોક્કસ મુદત માટેની હડતાલ શરૂ કરવામાં આવી હતી. જેમાં આ હડતાલ પર ઉતરેલા વકીલોની માંગણીઓ અને રજૂઆતો અંગે રાજકોટના નામદાર ડિસ્ટ્રિક્ટ જજ તરફથી પોઝિટિવ અને સંતોષકારક જવાબ મળ્યો હતો. જે બાદ ચાલી રહેલી આ હડતાલનો હાલ અંત આવ્યો છે.
વકિલ દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી: આ અંગે માહિતી આપતા ઉપલેટા વકીલ મંડળના પ્રમુખ અને એડવોકેટ જીગ્નેશ ચંદ્રવાડીયા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ઉપલેટા તાલુકો રાજકોટ જીલ્લાનો છેવાડાનો તાલુકો છે. ઉપલેટાની પ્રજાને ન્યાયાલય તથા અન્ય સરકારી ઓફીસોની ફાળવણીમાં અન્યાય થતો રહે છે. ઉપલેટામાં વિશાળ વિસ્તારમાં ન્યાયાલય છે અને એક સાથે ચાર કોર્ટ ચાલી શકે તેવું બાંધકામ પણ છે છતાં ઉપલેટાને પુરતી કોર્ટ ફાળવવામાં આવેલ નથી. જેથી ઉપલેટા તાલુકાને મંજુર થયેલ સીનીયર ડીવીઝન કોર્ટ તથા મીહીનામાં ૧૫ દીવસ ફેમીલી કોર્ટ તત્કાલ ફાળવવામાં આવે તેવી લેખિત રજૂઆત કરવામાં આવી હતી.
ઉપલેટા કોર્ટને ફેમિલી લિંક ફાળવવામાં આવશે: આ રજુઆત બાદ બાર એસોસિયેશન દ્વારા ઉપલેટા તાલુકાની પ્રજાના હીતમાં તત્કાલ નીર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં પ્રજાના હિતને ઘ્યાનમાં લઈને ઉપલેટા વકીલ મંડળે તા.18-05-2024ના કરેલ ઠરાવ મુજબના મુદાઓનું નિરાકરણ કરવામાં નહી આવે તો ઉપલેટા વકીલ મંડળ તા. 01-06-2024થી અચોક્કસ મુદત માટે હડતાલ પર ઉતર્યા હતા. ત્યારે આ બાબતે રાજકોટના નામદાર ડિસ્ટ્રિક્ટ જજ વી.બી. ગોહિલ દ્વારા ઉપલેટા કોર્ટને ફેમિલી લિંક ફાળવવામાં આવશે. તેવી ખાતરી આપતા ઉપલેટા વકીલ મંડળે ડિસ્ટ્રિક્ટ જજની ખાતરીને માન આપી હડતાલ સમેટી લીધી છે.
હડતાલનો આવ્યો અંત: આ અંગે ઉપલેટા વકીલ મંડળના પ્રમુખે વધુમાં જણાવ્યું હતું કે, ઉપલેટાની પ્રજા માટે ફેમિલી લિંક કોર્ટ વહેલી તકે શરૂ કરવામાં આવશે. તેવી હકારાત્મક ખાતરી મળતા હાલ આ હડતાલને સમેટી લેવામાં આવી છે. અને હવેથી રાબેતા મુજબ વકીલો પોતાની તમામ કામગીરીઓ શરૂ કરશે તેવું જણાવવામાં આવ્યું છે. આ સાથે જ આગામી દિવસોમાં જો આપવામાં આવેલી ખાતરીનું અમલ નહીં કરવામાં આવે તો પુનઃ હડતાલ અંગેની વિચારણા પણ કરવામાં આવશે. તેવો ઠરાવ કરવામાં આવ્યો હોવાની માહિતીઓ મળી છે. આ હડતાલની બાબતમાં રાજકોટના નામદાર ડિસ્ટ્રિક્ટ જજ વતી ઉપલેટાના નામદાર કોર્ટના પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ એ.એ. દવેએ ઉપલેટાના વકીલોને સમજાવી હકારાત્મક પરિણામ લાવવા માટેનો પણ પ્રયત્ન કર્યા હતા. જેથી રાજકોટના નામદાર ડિસ્ટ્રિક્ટ જજ વી.બી. ગોહિલ તેમજ ઉપલેટાના પ્રિન્સિપાલ જજ એ.એ. દવેની હકારાત્મક ખાતરીને માન આપી હડતાલ સમેટાઈ છે. અને આજ તા. 11 જુન 2024ના રોજ રાબેતા મુજબ તમામ વકીલો પોતાની કામગીરી શરૂ કરવાનો સર્વાનુંમતે નિર્ણય લીધો હોવાનું ઉપલેટા બારના પ્રમુખે જણાવ્યું છે.