રાજકોટ: ઉપલેટામાં અનુસૂચિત જાતિના આગેવાનો રાજકોટમાં મૃત્યુ પામેલા યુવક બાબતે મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું છે. જેમાં દોષિતો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ન્યાયની માંગણી કરવામાં આવી છે. આવેદન આપતા અગાઉ આગેવાનો અને ઉપસ્થિત લોકોએ સૂત્રોચ્ચાર કર્યા હતા.
![યુવકના મોત સંદર્ભે ઉપલેટા મામલતદારને આવેદન અપાયું](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/18-04-2024/21255411_d_aspera.jpg)
સમગ્ર ઘટનાક્રમઃ તા.16/04/2024ના રોજ રાજકોટના માલવિયા પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા કોઈ પણ જાતના કારણ વગર અનુસૂચિત જાતિના યુવાન હમીર રાઠોડને બેહદ માર મારવામાં આવેલ. આ મારને લીધે આ યુવાનનું મૃત્યુ થયું હતું. ઉપલેટા શહેર અને તાલુકાના સમસ્ત અનુસૂચિત જાતિ સમાજે એક અવાજે આ ઘટનાને વખોડી કાઢી છે. આગેવાનો ઉપલેટા મામલતદાર કચેરીએ એકત્ર થયા હતા. તેમણે સૂત્રોચ્ચાર કરીને મામલતદારને દોષિતો વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરી સત્વરે ન્યાય મળે તેવી માંગણી કરતું આવેદન પત્ર પાઠવ્યું હતું.
![યુવકના મોત સંદર્ભે ઉપલેટા મામલતદારને આવેદન અપાયું](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/18-04-2024/21255411_b_aspera.jpg)
શું કહે છે આગેવાનો?: આજે આવેદન પત્ર પાઠવવામાં સામેલ એવા ગીતા રાઠોડે જણાવ્યું હતું કે, રાજકોટમાં મૃત્યુ પામેલ યુવકના કિસ્સામાં ન્યાયિક પ્રક્રિયા થાય અને દોષિતો વિરુદ્ધ કડક કાયદેસરના પગલા ભરાય તેવી અમારી માંગણી છે. અમે હર્ષ સંઘવી સુધી રજૂઆત કરીશું. આ ઉપરાંત અનુસૂચિત જાતિના આગેવાન અને એડવોકેટ એવા ભાલચંદ્ર રાવ મેકમહુએ જણાવ્યું હતું કે, રાજકોટના આંબેડકર નગરમાં માલવિયા પોલીસ તપાસ કરી રહી હતી ત્યારે મૃતક યુવક હમીર રાઠોડે માત્ર પુછપરછ કરી હતી. જેનાથી ગુસ્સે થયેલા માલવિયા પોલીસ સ્ટેશનના કર્મચારીઓએ યુવકને જીપમાં બેસાડી લઈ ગઈ અને પોલીસ સ્ટેશનમાં મૂઢ માર માર્યો હતો. આ મારને લીધે યુવકનું મૃત્યુ થયું હતું. આ યુવકના મામલે ન્યાય મળે અને દોષિતો વિરુદ્ધ કડક કાર્યવાહી થાય તે માટે અનુસૂચિત જાતિના લોકોએ ઉપલેટા મામલતદારને આવેદન પાઠવીએ છીએ.
![યુવકના મોત સંદર્ભે ઉપલેટા મામલતદારને આવેદન અપાયું](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/18-04-2024/21255411_c_aspera.jpg)