ગાંધીનગર: રાજકોટ અગ્નિકાંડની દુર્ઘટના બાબતે સરકાર કડક વલણ અપનાવી રહી છે. અગ્નિકાંડમાં બદલી પામેલા આઈએસ અને ૩ આઈપીએસ ઓફિસરની આવતીકાલે ગાંધીનગર ખાતે પૂછપરછ કરાશે. પૂછપરછ બાદ જો તથ્ય જણાશે તો ઉચ્ચ અધિકારીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવાની પણ માહિતી સીટના વડા સુભાષ ત્રિવેદીએ આપી છે.
![રાજકોટ અગ્નિકાંડમાં બદલી થયેલા આઈએએસ,આઈપીએસની આજે કરાશે પૂછપરછ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/30-05-2024/gj-gnr-01-rajakot-agniknd-aaje-puchparach-7212235_30052024103615_3005f_1717045575_545.jpg)
પૂછપરછ માટે વિશેષ પ્રશ્ન બેંક: આ પૂછપરછમાં ડીજીપી વિકાસ સહાય કામ હાથ ધરશે. જેથી આજે સવારે પોલીસ ભવન ખાતે તમામ અધિકારીને બોલાવ્યા છે. એટલું જ નહિ પણ 2021થી અત્યાર સુધી તત્કાલિન ફરજ પરના અધિકારીઓને પણ પૂછપરછ માટે બોલાવ્યા છે. ઉપરાંત આ પૂછપરછ માટે વિશેષ પ્રશ્ન બેંક પણ તૈયાર કરવામાં આવી છે.
![રાજકોટ TRP ગેમઝોનમાં સર્જાયેલી દુર્ઘટના અંગે એક બાદ એક નવી માહિતીઓ સામે આવી રહી છે.](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/30-05-2024/21592534_rajkot2.jpg)
શું થયું બેઠકમાં : રાજકોટ TRP ગેમઝોનમાં સર્જાયેલી દુર્ઘટના અંગે એક બાદ એક નવી માહિતીઓ સામે આવી રહી છે. જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં એસઆઈટીના વડાએ તમામ અગત્યની માહિતી સામે મૂકી હતી. આ ચર્ચામાં એસઆઈટી વડાએ એક બાદ એક તમામ સબંધિત વિભાગ કે જે ગેમઝોનની મંજૂરી સાથે સંકળાયેલા છે, તેની માહિતી બેઠક સામે રજુ કરી હતી.
![અગ્નિકાંડમાં બદલી પામેલા આઈએસ અને ૩ આઈપીએસ ઓફિસરની આવતીકાલે ગાંધીનગર ખાતે પૂછપરછ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/30-05-2024/21592534_rajkot.jpg)
પોણા બે કલાક સુધી ચાલી બેઠક: ગૃહ રાજ્ય મંત્રી સાથેની આ બેઠકમાં રાજ્ય પોલીસ વડા સાથે તપાસ સમિતિના અન્ય સભ્યો પણ હાજર હતા. સવારે ૧૧ વાગ્યે શરૂ થયેલી બેઠક પોણા બે કલાક સુધી ચાલી હતી. આ બેઠકમાં તપાસના વિવિધ પાસા અંગે ચર્ચા કરવામાં આવી હતી.
તાપસ માટે જરૂરી મંજુરી લેવાની ચર્ચા: નિવેદન અને કાર્યવાહી અંગે માહિતી આપી એસઆઈટી વડાએ ગૃહ રાજ્ય મંત્રીને બેઠકમાં ઘટના ઘટી ત્યારથી લઈને અત્યાર સુધી નિવેદન તેમજ નિવેદનને આધારે કરેલી કાર્યવાહી અંગે વિસ્તૃત માહિતી આપી હતી. આ ઉપરાંત આગામી સમયમાં તાપસ માટે જે પણ જરૂરી મંજુરી લેવાની હોય તે બાબતની ચર્ચા કરવામાં આવી હતી.
ઔદ્યોગિક એકમ સ્થાપવાના નામે વીજ પુરવઠો મેળવ્યો: બેઠક દરમિયાન, TRP ગેમઝોન દ્વારા કેવી રીતે વીજ પુરવઠો મેળવ્યો તે બાબતની પણ ચર્ચા કરવામાં આવી હતી. જેમાં માહિતી આપતા એસઆઈટી વડાએ કહ્યું હતું કે, TRP ગેમઝોન દ્વારા ઔદ્યોગિક એકમ સ્થાપવાના નામે વીજ પુરવઠો મેળવવામાં આવ્યો હતો. આમ, આ બાબતને આધારે આગામી સમયમાં પીજીવીસીએલના અધિકારીઓની પણ પુછપરછ થઈ શકે તેવી સંભાવના છે. વધુમાં વિચારવાની બાબત એ છે કે, ઉચ્ચ અધિકારીઓની પૂછપરછ બાદ ગુનો નોંધાશે કે નહીં તે જોવું રહ્યું.