સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર રીતે ખનીજ ચોરી બેફામ થતી હોય છે ત્યારે તેને લઈ અનેક વખત મારામારી અને હત્યાના બનાવો પણ બને છે. જેમાં સાયલા તાલુકામાં ગેરકાયદેસર ખનીજ ચોરી થતી હતી. આ ખનીજ ચોરી બંધ કરાવવામાં આવે તે માટે સાયલા તાલુકાના સુદામડા ગામે રહેતા અરજદાર શોકત યાદવ અને તેની પુત્રી દ્વારા કલેકટર અને પોલીસને અરજી કરવામાં આવી હતી. પરંતુ અરજી કર્યા બાદ આ ભૂમાફિયાઓ દ્વારા અવારનવાર આ પરિવારને અરજી પરત ખેંચવા ધાક ધમકી આપતા હોવાનું પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો. ત્યારે આજે રાત્રે તારીખ 14 સપ્ટેમ્બરના રોજ 10:00 કલાકે ત્રણથી ચાર ગાડીઓમાં 15 થી વધુ વ્યક્તિઓ દ્વારા અરજદારના ઘર પર 8 થી 10 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે.
અરજદારના ઘરે ચુસ્ત પોલીસ બંદોબસ્ત: ફાયરિંગમાં કોઈપણ ઘરના વ્યક્તિઓને ઈજા પહોંચી નથી. જેના કારણે સમગ્ર ગામમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે હાલ આ પરિવાર પોલીસ પ્રોટેક્શનની માંગ કરી રહ્યું છે. જો તેઓની માંગ નહીં સંતોષાય તો પરિવારજનો દ્વારા આત્મ વિલોપન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. હાલ તો સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ગીરીશકુમાર પંડ્યા, લીમડી DYSP, lcd અને sog સહિતનો પોલીસ કાફલો સુદામડા ગામે અરજદારના ઘરે કોઈ ઇચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ત્યારે પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને ઝડપી પાડવા માટે જિલ્લાના માર્ગો ઉપર નાકાબંધી કરી અને તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો